રાજ્યભરમાં લમ્પી વાયરસે (Lumpy virus) હાહાકાર મચાવ્યો છે. લમ્પીને કારણે અનેક પશુના મોત થઇ રહ્યાં છે. પશુધન સુરક્ષિત રહે તે માટે સરકાર દ્વારા પશુઓને વેક્સિન (vaccine) આપવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. ભાવનગર (Bhavnagar) જિલ્લામાં લમ્પી વાયરસના નવા 54 કેસ નોંધાતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, ઉમરાળા સહિત ગારીયાધારમાં વાયરસના કેસમાં વધારો થયો છે. સૌથી વધુ વાયરસ ગાયોમાં જોવા મળતા પશુપાલન વિભાગે રસીકરણ વધારી દીધું છે. અત્યાર સુધી 16,554 જેટલા પશુઓને રસી મુકવામાં આવી છે. આગામી દિવસોમાં રસીકરણમાં વધારો કરવામાં આવશે તેવું પશુપાલન અધિકારીનું કહેવું છે. વાયરસના કારણે દૂધની આવકમાં પણ ઘટાડો થયો છે.
મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કેસ ખૂબ જ વધી રહ્યા છે. જેના પશુ અને ગૌસંવર્ધન પ્રધાન રાઘવજી પટેલ સૌરાષ્ટ્રના બે જિલ્લાની મુલાકાત લીધી હતી. સૌથી પહેલા રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યાં હતા. જયાં તેમણે દરેડ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને લમ્પી વાયરસ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે જ અધિકારીઓને લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચન કર્યા હતા. રાજ્યમાં લમ્પીના હાહાકાર અંગે રાઘવજી પટેલે કહ્યું કે રાજયમાં 15 જિલ્લામાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે અને અત્યાર સુધી લમ્પીને કારણે 1130 પશુઓના મોત થયા છે. હાલ લમ્પીને ફેલાતો અટકાવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
Published On - 9:07 am, Sun, 31 July 22