ભરૂચ(Bharuch) ટ્રાફિક સીટી તરીકે બદનામ રહી છે. દેશની રાજધાની દિલ્લીને આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતા નેશનલ હાઇવે 48 ઉપરનો અહીંનો વિસ્તાર મહત્તમ ટ્રાફિક(Traffic Jam)ની સમસ્યાઓના કારણે ચર્ચામાં રહે છે. ચોમાસા દરમ્યાન રસ્તાના ધોવાણ, જર્જરિત પૂલ અને અકસ્માતોના કારણે ભરૂચ નજીક ટ્રાફિક જામના દ્રશ્યો નવાઈની વાત નથી. આજે ફરીએકવાર અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાએ વાહન ચાલકોને પરેશાન કર્યા હતા. ત્રણ કિલોમીટર કરતા લાંબા ટ્રાફિક જામમાં સેંકડો વાહનો ફસાયા હતા. વાહનચાલકોએ જામમાંથી નીકળવા બે કલાક સુધી સમયનો વ્યય કરવો પડ્યો હતો.
આજે સવારે અંકલેશ્વર નજીક અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.અકસ્માતના પગલે અતિવ્યસ્ત માર્ગ ઉપરથી વાહન પસાર થવામાં મુશ્કેલીઓ પડતા માર્ગમાં પ્રવેશતા વાહનોની સંખ્યા સામે વિસ્તારને પસાર કરતા વાહનોની સંખ્યા ઘટી રહી હતી. સતત ઉમેરાતા વાહનોના કારણે ટ્રાફિક જામ વિકટ બનતો ગયો હતો. ત્રણ કિલોમીટર કરતા વધુ લાંબો જામ નેશનલ હાઇવે ઉપર સર્જાયો હતો. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક ક્લિયર કરવા પ્રયત્નો શરૂ કાર્ય હતા જોકે ટ્રાફિક ક્લિયર થતા સમય લાગી રહ્યો હતો. વાહન ચાલક દેવાંગભાઈએ જણાવ્યું હતું કે ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા કાયમી બની રહી છે. આમજ ચાલતું રહ્યું તો ભરૂચની ઓળખ ખારીસીંગના સ્થાને ટ્રાફિકજામ બની જાય તેવો ભય સતાવી રહ્યો છે. અતુવ્યસ્ત માર્ગ ઉપર વાહનોની અવર- જ્વર માટે એક્શન પ્લાન બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી.
Published On - 1:06 pm, Thu, 9 June 22