ગુજરાતની ચૂંટણીમાં હવે “આફતાબ”ની એન્ટ્રી થઈ છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કચ્છની રેલીમાં વિવાદિત નિવેદન કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હિમંતા બિસ્વા સરમાએ શ્રદ્ધા હત્યા કેસને ભયાનક લવ જેહાદનો કેસ ગણાવ્યો છે. આ સાથે તેમને જણાવ્યું કે દેશમાં મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે. આ સ્થિતિમાં સમાજનું રક્ષણ કરવું મુશ્કેલ બનશે. દેશને સશક્ત બનાવવા અને સમાજનું રક્ષણ કરવા માટે સશક્ત નેતૃત્વની જરૂર છે. ગુજરાત અને દેશમાં ભાજપને જીતાડી દેશને સશક્ત નેતૃત્વ પુરૂ પાડવા હિમંતા બિસ્વા સરમાએ જનતાને અપીલ કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ઉતાર્યા છે. અનેક મોટા નેતાઓએ ગુજરાતમાં અનેક સભાઓ ગજવી હતી. કચ્છમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સભાઓ સંબોધી હતી. સાથે જ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે જનતાને અપીલ કરી હતી. અંજારમાં રોડ-શો અને સભાને સંબોધન કર્યા બાદ ગાંધીધામમાં આસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સભાને સંબોધિત કરી હતી. અને કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.