ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે સાબરમતી (Sabarmati) અને નર્મદા કેનાલ (Narmada cannal ) નેટવર્કમાંથી પાણી છોડાય તેવી શક્યતા છે. ઉપરવાસમાંથી સત પાણીની આવક થઈ રહી છે તેને પગલે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આ શક્યતાને પગલે વાસણા તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોને તેમજ નદીના પટમાં આવતા ગામડાઓને એલર્ટ (Alert) કરાયા છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે. અને નદીના પટમાં જવાની મનાઈ ફરમાવવમાં આવી છે.
ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે મોટા ભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે. સુરતમાં તાપી નદી તેમજ વડોદરા અને કરજણમાં પણ નર્મદાના પટમાં આવતા ગામો તેમજ નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
સરદાર સરોવર જળાશય જળ આવકથી ભરાઈ રહ્યું છે તેના પગલે નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાને અનુલક્ષીને વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે તકેદારીના ભાગ રૂપે નર્મદા કાંઠાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે.આ ત્રણેય તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને ગ્રામજનો ને નદી કાંઠાથી સલામત અંતર રાખવા અને સાવધ રહેવા અનુરોધ કર્યો છે.
નર્મદા નદી બે કાંઠે વહેવાની સંભાવના ને અનુલક્ષીને જિલ્લા કલેકટર તરફ થી મળેલી સૂચનાના અનુસંધાને પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર,કરજણ દ્વારા તાલુકાના નર્મદા કાંઠાના તમામ ગામોમાં સંપૂર્ણ સાવધાની રાખવા સંબંધિતોને સૂચના આપી છે.જરૂર પડ્યે નદી કાંઠા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા અને તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં રહેવા જણાવવામાં આવ્યું છે.
Published On - 11:52 pm, Thu, 11 August 22