Ahmedabad Breaking News : આરોગ્ય વિભાગની તવાઈ ! એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા, પકોડીમાં પ્રતિબંધિત ફૂડ કલરનો પણ ખુલાસો

| Updated on: May 31, 2026 | 10:26 AM

આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. વિભાગે એનાલોગ પનીરનું વેચાણ કરતા 27 વેપારીઓ સામે કાર્યવાહી કરી છે

અમદાવાદમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા જાળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. વિભાગે એનાલોગ પનીરનું વેચાણ કરતા 27 વેપારીઓ સામે કાર્યવાહી કરી છે, જ્યારે ખાદ્ય પદાર્થોમાં પ્રતિબંધિત કેમિકલ યુક્ત ફૂડ કલરનો ઉપયોગ થતો હોવાનો પણ પર્દાફાશ થયો છે.

ખાદ્ય પદાર્થોમાં કેમિકલ યુક્ત ફૂડ કલર મળી આવ્યો

આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા 86 નમૂનાઓમાંથી 7 નમૂનાઓમાં કેમિકલ યુક્ત પ્રતિબંધિત ફૂડ કલર મળી આવ્યો હતો. ખાસ કરીને પકોડી સહિતના કેટલાક ખાદ્ય પદાર્થોમાં આવા હાનિકારક રંગોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.

નિયમોના ભંગ બદલ 10.51 લાખનો દંડ

વિભાગે મે મહિનામાં શહેરભરમાં કુલ 1,464 ખાદ્ય એકમોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નિયમોના ભંગ બદલ વિવિધ એકમો પાસેથી કુલ ₹10.51 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 28 નમૂનાઓ અપ્રમાણિત હોવાનું સામે આવ્યું છે.

21 નમૂનાઓને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા

આ અપ્રમાણિત નમૂનાઓમાંથી 21 નમૂનાઓને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 7 નમૂનાઓને સંપૂર્ણપણે અસુરક્ષિત ગણાવવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ ખાદ્ય પદાર્થોની ખરીદી કરતી વખતે ગુણવત્તા અને પ્રમાણિતતા અંગે સતર્ક રહે અને કોઈ શંકાસ્પદ ખાદ્ય પદાર્થ અંગે તંત્રને જાણ કરે છે.

Breaking News : આણંદના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી, ગુણવત્તા પર સવાલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: May 31, 2026 10:26 AM
Follow Us