રાજ્યમાં ખાતરની અછત હોવાની ફરિયાદોને લઈ કૃષિ પ્રધાને ફરી એકવાર સ્પષ્ટતા કરી છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે દાવો કર્યો છે કે રાજ્યમાં ખાતરની તંગની જે વાતો ચાલે છે તે પાયાવિહોણી છે. ખાતરની કોઈ તંગી નથી. ખાતરનો પૂરતો જથ્થો છે. રાઘવજી પટેલે કહ્યું કે- કેટલીક જગ્યાએ મોડો જથ્થો પહોંચ્યો હોય તો ફરિયાદ ઉઠી હોઈ શકે છે. રાજ્યની રવિપાકની યુરિયાની જરૂરિયાત 12.50 લાખ મેટ્રિક ટન હતી. જે કેન્દ્ર સરકારે પૂર્ણ કરી આપી છે. જેથી ખાતરની ક્યાંય પણ તંગી નથી. રાઘવજી પટેલે જણાવ્યુ કે ક્યાંય તંગીની ફરિયાદ નથી. ક્યાંક એકલ દોકલ જગ્યાએ કોઈ માગણી મોડી પહોંચી હોય, ક્યાંક વાહનની સમસ્યા હોવાના કારણે ખાતર મોડુ પહોંચ્યુ હોઈ શકે છે.
આ તરફ રાજ્યના ખેતી નિયામકે જણાવ્યું છે કે, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે હેઠળ સઘન આયોજન કરાયું છે. રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં મુખ્ય ખાતર તરીકે યુરિયા, ડી.એ.પી. અને એન. પી.કે.નો ઉપયોગ કરવામાં આવે છે.
ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ખાતર પર માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાથી રવી ઋતુમાં વાવેતરમાં પણ વધારો થયેલ છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરીયાત હોઇ, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રવી/ઉનાળુ ઋતુ માટે યુરિયા 12.50 લાખ મે.ટન, ડી.એ.પી. 2.50 લાખ મે.ટન, એન.પી.કે. 2.85 લાખ મે.ટન તથા એમ.ઓ.પી. 60 હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે.