સુરત : અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંદર્ભે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ સુરતમાં અયોધ્યાના ભવ્ય રામ મંદિરની થીમ પર સાડી તૈયાર કરવામાં આવી છે. 6 મીટરની સાડીમાં પ્રભુ શ્રીરામના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરાઇ છે.
આ સાથે જ સાડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીની કૃતિ પણ તૈયાર કરવામાં આવી છે. 100 સાડી તૈયાર કરી અયોધ્યા મોકલવામાં આવશે અને તેને પૂજા તરીકે ઉપયોગ કરી શકાય છે. ડિઝાઇનર અને વેપારીએ આ સાડીને પોસ્ટર તરીકે લગાડવા અને પૂજા માટે જ બનાવી છે તેનો ઉપયોગ પહેરવા માટે નથી તેમ પણ ઉલ્લેખ કર્યો છે. આગામી 22 જાન્યુઆરીએ આ સાડી વિવિધ ટેક્સટાઇલ માર્કેટમાં મોકલવામાં આવશે.