ઉત્તરાખંડના આ કટારમલ સૂર્યમંદિરને કેમ કહેવાય છે કોણાર્કના સૂર્યમંદિર સમાન, જાણો માહાત્મ્ય

મુખ્ય મંદિરની રચના ત્રિરથ આકારની છે અને ફેબ્રુઆરી તેમજ ઑક્ટોબરના અંતિમ અઠવાડિયામાં સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. અહીં પત્થરમાંથી કંડારાયેલી સૂર્યદેવતાની પદ્માસન ધારણ કરેલી મૂર્તિના દર્શન થઈ રહ્યા છે.

ઉત્તરાખંડના આ કટારમલ સૂર્યમંદિરને કેમ કહેવાય છે કોણાર્કના સૂર્યમંદિર સમાન, જાણો માહાત્મ્ય
કટારમલ સૂર્યમંદિર
| Edited By: | Updated on: Feb 07, 2021 | 2:56 PM

સૂર્ય (SUN) ઉપાસનાની પરંપરા તો ભારતની ભૂમિ પર સદીઓથી ચાલી આવી છે. જેના ભાગ રૂપે જ પૂર્વે અનેકવિધ સૂર્યમંદિરોના નિર્માણ થયા. પ્રસિદ્ધ સૂર્ય મંદિરોની વાત કરીએ તો સર્વ પ્રથમ કોણાર્ક સૂર્ય મંદિર અને ત્યારબાદ મોઢેરાના સૂર્યમંદિરનું જ સ્મરણ થઈ આવે. પણ, દેવભૂમિ ઉત્તરાખંડમાં એક એવું સૂર્યમંદિર આવેલું છે કે જેનું માહાત્મ્ય કોર્ણાક સૂર્યમંદિર સમકક્ષ જ મનાય છે !

ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં કટારમલ નામે એક નાનકડું ગામ આવેલું છે. જે મોટાભાગે લીલા જંગલથી જ ઘેરાયેલું છે, અને તે જંગલની મધ્યે જ શોભી રહ્યું છે એક અદભુત સૂર્યમંદિર. જેને લોકો કહે છે કટારમલ સૂર્યમંદિર. વર્ષો પહેલાં ગીચ જંગલથી ઘેરાયેલા આ સ્થાનને જોઈને કોઈને સ્વપ્નેય વિચાર નહીં આવ્યો હોય, કે અહીં એક ભવ્ય ભૂતકાળ સચવાયેલો છે અને તે ભવ્ય ભૂતકાળ, ભવ્ય ધરોહર એટલે કટારમલ સૂર્યમંદિર.

સ્કન્દપુરાણ અનુસાર કાલનેમિ નામના એક અસુરના વધ માટે ઋષિમુનિઓએ ઉત્તરાખંડના આ જ સ્થાન પર સૂર્યદેવનું આહવાન કર્યું અને વટ આદિત્ય નામે અહીં સૂર્યદેવની સ્થાપના કરી. જો કે મંદિરનું નિર્માણ કત્યુરી રાજવંશના રાજવી કટારમલદેવે 11મી સદીમાં કરાવ્યું હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે. કહે છે કે કટારમલદેવે મંદિરમાં નવગ્રહો સહિત ‘બડાદિત્ય’ એટલે કે બડા આદિત્ય મોટા સૂર્યદેવનું સ્થાપન કરાવ્યું અને સાથે જ મુખ્ય મંદિરની આસપાસ નાના-નાના 45 મંદિરોનું નિર્માણ કરાવ્યું. કેટલાંક પુરાતત્વિદ્દ મંદિરને 13મી સદીનું તો કેટલાંક 9મી સદીનું માને છે. નિર્માણ સમયને લઈને મતમતાંતર હોવા છતાં સૌ એ વાતે સંમત છે કે પ્રાચીન સમયમાં ઉત્તરાખંડનું મુખ્ય આકર્ષણ રહ્યું હશે આ ભવ્ય સૂર્યમંદિર.

કટારમલ દેવ દ્વારા નિર્મિત હોઈ આ મંદિર અને ગામ પણ કટારમલ તરીકે પ્રસિદ્ધ થયા. આ મંદિર તેની બનાવટ સાથે જ અદભુત ચિત્રકારી માટે પણ પ્રસિદ્ધ છે. મુખ્ય મંદિરની રચના ત્રિરથ આકારની છે અને ફેબ્રુઆરી તેમજ ઑક્ટોબરના અંતિમ અઠવાડિયામાં સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે.

મંદિર નિર્માણ સમયે સ્થપાયેલી અષ્ટધાતુની સૂર્યપ્રતિમા તો હાલ મંદિરમાં નથી. પરંતુ, હાલ અહીં પત્થરમાંથી કંડારાયેલી સૂર્યદેવતાની પદ્માસન ધારણ કરેલી મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. કહે છે કે આ ભવ્ય મૂર્તિના દર્શન કરતાં જ ભક્તોને અલભ્ય શાંતિનો અહેસાસ થાય છે. લોકવાયકા તો એવી પણ છે કે જે આસ્થા સાથે અહીં નતમસ્તક થઈ જાય છે, તેને ક્યારેય નિરાશ નથી થવું પડતું.

આ પણ વાંચો અહીં મહાદેવ પર થાય છે જીવતા કરચલાનો અભિષેક !

Follow Us
Loading...
Unable to load recommendations.