12 jyotirlinga: જાણો મુક્તિદાતા મલ્લિકાર્જુનનો મહિમા, અહીં મળશે શિવ-શક્તિના એકસાથે આશીર્વાદ

દૂરથી પણ જો આપ શ્રીશૈલમ પહાડીના દર્શન કરી લો છો, તો માની લેજો કે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવી લો છો. શિવપુરાણ અનુસાર જે એકવાર આસ્થા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરી લે છે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે.

12 jyotirlinga: જાણો મુક્તિદાતા મલ્લિકાર્જુનનો મહિમા, અહીં મળશે શિવ-શક્તિના એકસાથે આશીર્વાદ
12 જ્યોતિર્લિંગમાં દ્વિતીય સ્થાને મલ્લિકાર્જુન ધામના દર્શનનો મહિમા
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:21 AM

દેવાધિદેવ મહાદેવ (mahadev) તો સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. પણ, ધરતી પરનું તેમનું પૂર્ણ અને પ્રગટ રૂપ એટલે તેમનું જ્યોતિર્મય સ્વરૂપ. ભારતની ભૂમિ પર મહેશ્વરના આવાં જ દિવ્ય 12 જ્યોતિર્લિંગ (12 jyotirlinga) વિદ્યમાન છે. પરંતુ, અમારે આજે વાત કરવી છે એક એવાં જ્યોતિર્લિંગની, કે જેના દર્શનથી ભક્તોને શિવ અને શક્તિ બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. કારણ કે, આ એ જ્યોતિર્લિંગ છે કે જેમાં મહેશ્વર અને માતા પાર્વતી એકસાથે એક જ ‘જ્યોતિ’ રૂપે વિદ્યમાન થયા છે ! આ સ્થાન એટલે દક્ષિણ ભારતનું કૈલાસ. શ્રીશૈલમનું મલ્લિકાર્જુન (mallikarjuna) ધામ.

આંધ્રપ્રદેશ રાજ્યના કુરનૂલ જિલ્લામાં શ્રીશૈલમ પર્વત આવેલો છે. હૈદરાબાદથી લગભગ 220 કિલોમીટરના અંતરે આવેલ આ પર્વત સમુદ્રની સપાટીથી 500 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અને નલ્લામલ્લાના જંગલથી ઘેરાયેલો છે. આ જગ્યાનું સૌંદર્ય ખૂબ જ અદભુત છે. તેના વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે,
શ્રીશૈલા શીખરમ્ દૃષ્ટવા,
પુનર્જન્મમ્ ન વિદ્યયતે
અર્થાત્, દૂરથી પણ જો આપ શ્રીશૈલમ પહાડીના દર્શન કરી લો છો, તો માની લેજો કે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવી લો છો.

વાસ્તવમાં શ્રીશૈલમ્ પર્વત પર આવેલું મલ્લિકાર્જુન ધામ ભક્તોને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ અપાવતું ધામ મનાય છે. આ એ સ્થાન છે કે જે સ્વયં કુમાર કાર્તિકેયની તપોભૂમિ રહ્યું છે. ભારતના બાર જ્યોતિર્લિંગમાં મલ્લિકાર્જુન ધામ દ્વિતીય સ્થાન ધરાવે છે. અને તેની આ જ મહત્તા અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે. ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલાં આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલાં છે. જે ગોપુરમ્ તરીકે ઓળખાય છે.

મંદિર બહાર પગ ધોયા બાદ જ ભક્તો અહીં મંદિરમાં પ્રવેશ કરી શકે છે. માન્યતા અનુસાર અહીં શિવજીના દર્શન પહેલાં નંદીના દર્શન અચૂક કરવા પડે છે. અને નંદીની પરવાનગી લીધાં બાદ જ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપના દર્શન કરી શકે છે. આ મલ્લિકાર્જુન સ્વામી મુક્તિના દાતા મનાય છે. તેમના દર્શન માત્રથી મહાફળની પ્રાપ્તિની માન્યતા છે. કહે છે કે કાશીમાં લાખો વર્ષ સુધી નિવાસ કરવાથી અને ધર્મ-કર્મ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય, તે તો મલ્લિકાર્જુન સ્વામીના દર્શન માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. કે જેમના આ ભૂમિ પર આગમનની કથા કુમાર કાર્તિકેય સાથે જોડાયેલી છે.

શ્રીશૈલમ્ પર ભક્તોને એકસાથે શિવ-શક્તિના આશીર્વાદ

શિવપુરાણની રુદ્રસંહિતાના વીસમા અધ્યાયમાં ઉલ્લેખ છે તેમ એકવાર ગજાનન ગણેશ અને કુમાર કાર્તિકેય વચ્ચે એ મુદ્દે વિખવાદ થઈ ગયો કે બંન્નેમાંથી પ્રથમ વિવાહ કોણ કરે. આખરે ગૌરી શંકરની સહમતિથી એવો નિર્ધાર થયો કે જે સર્વપ્રથમ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવશે, તે પ્રથમ વિવાહ કરશે. એક તરફ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા, અને બીજી તરફ ગણેશજીએ માતા-પિતાની જ પ્રદક્ષિણા કરી રિદ્ધિ-સિદ્ધિ સાથે વિવાહ કર્યા. આ ઘટનાથી ક્રોધિત થઈ કાર્તિકેય દક્ષિણ દિશામાં ક્રૌંચ પર્વત પર આવીને વસ્યા. આ ક્રૌંચ પર્વત એટલે જ શ્રીશૈલમ.

શિવપુરાણની કથા અનુસાર કુમારને મનાવવા ગૌરી-શંકર સ્વયં આ ધરા પર પધાર્યા. તેમના આવવાના સમાચાર મળતા જ કુમાર અહીંથી 12 કોસ દૂર ચાલ્યા ગયા. અલબત્ દેવતાઓની પ્રાર્થનાથી શિવ અને પાર્વતી બંન્ને એકસાથે જ્યોતિર્મય રૂપે ‘મલ્લિકાર્જુન’ સ્વરૂપે અહીં વિદ્યમાન થયા. આ શિવલિંગમાં ‘મલ્લી’ અર્થાત્ માતા પાર્વતી. અને ‘અર્જુન’ અર્થાત્ સ્વયં શિવજી.

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના પંદરમાં અધ્યાયમાં ઉલ્લેખ છે તે અનુસાર જે એકવાર આસ્થા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરી લે છે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. એટલું જ નહીં, તેની સર્વ મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે.

આ પણ વાંચો: જાણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રાગટ્યની કથા, શા માટે અહીં દર્શનનો છે વિશેષ મહિમા ?

આ પણ વાંચો: જો સમગ્ર શ્રાવણમાં આવી રીતે કરશો વ્રત, તો ખુલી જશે આપની કિસ્મતનો દ્વાર !

Published On - 9:20 am, Tue, 10 August 21

Follow Us
Loading...
Unable to load recommendations.