
વિરાટ કોહલીએ IPL-2021ના બીજા ભાગમાં કહ્યું હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં કેપ્ટન તરીકે આ તેની છેલ્લી સીઝન છે. મતલબ કે વિરાટ IPL-2022માં RCBની કેપ્ટનશીપ નહીં કરે. કોહલી બાદ તેની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સનું નામ આગળ વધી રહ્યું હતું, પરંતુ ડી વિલિયર્સે શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. હવે સવાલ એ છે કે જ્યારે ટીમના બે જૂના ખેલાડીઓ કેપ્ટનશીપની રેસમાંથી બહાર છે ત્યારે RCB આગામી IPL કોના નેતૃત્વમાં રમશે?

આ રેસમાં હવે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલનું નામ મોખરે છે. મેક્સવેલ આ સિઝનમાં આરસીબીમાં આવ્યો હતો અને તેણે બેટથી શાનદાર ઇનિંગ્સ રમી હતી. વિરાટ અને ડી વિલિયર્સ પછી તે ટીમનો સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન હતો. ડી વિલિયર્સના ગયા પછી આરસીબી તેને જાળવી રાખવા માંગે છે અને જો તે કેપ્ટન બને તો નવાઈ નહીં.

આઈપીએલ-2021માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરનાર કેએલ રાહુલ વિશે એવા અહેવાલ હતા કે તે પંજાબ છોડી શકે છે. જો આવું થાય છે, તો RCB આગામી સિઝન માટે મેગા ઓક્શનમાં તેના પર દાવ લગાવી શકે છે અને તેને કેપ્ટન બનાવી શકે છે. રાહુલ આરસીબીમાંથી જ પંજાબ ગયો હતો.

ડેવિડ વોર્નર, જેણે સનરાઇઝર્સ હૈદરાબાદને 2016 માં આઇપીએલ ટાઇટલ અપાવ્યું, તે બીજું નામ છે જેના પર RCBની નજર છે. હૈદરાબાદે વોર્નરને સુકાનીપદેથી હટાવી દીધા હતા અને પછી તેને અંતિમ-11માં તક પણ આપી ન હતી.વોર્નરે સ્પષ્ટ કર્યું હતું કે, તે પોતાનું નામ હરાજીમાં રાખશે. વોર્નર પ્રભાવશાળી કેપ્ટન અને બેટ્સમેન સાબિત થયો છે.આરસીબી તેને પણ પોતાની સાથે લઈ શકે છે.

તાજેતરમાં ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ T20 વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન એરોન ફિન્ચ પણ RCBના રડાર પર આવી શકે છે. તે RCB તરફથી IPL-2020માં રમી ચૂક્યો છે પરંતુ 2021માં તેને ખરીદનાર મળ્યો નથી. હવે જ્યારે આરસીબીને એક એવા કેપ્ટનની જરૂર છે જે પોતાના બેટથી અજાયબી કરી શકે, તો ફિન્ચ વિકલ્પ બની શકે છે.

ડી વિલિયર્સે IPLમાં 184 મેચમાં 39.71ની એવરેજથી 5162 રન બનાવ્યા છે. ડી વિલિયર્સની સ્ટ્રાઈક રેટ 151થી વધુ હતી અને તેના બેટમાં 3 સદી, 40 અડધી સદી હતી.

ડી વિલિયર્સનું બેટ માત્ર આરસીબી માટે ચાલતું ન હતું. તેણે દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતી વખતે તોફાન પણ સર્જ્યું હતું. આ જમણા હાથના બેટ્સમેને 23 એપ્રિલ 2009ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી તરફથી રમતી વખતે તેની પ્રથમ આઈપીએલ સદી ફટકારી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ પાંચ વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. જેમાંથી 105 અણનમ ડિવિલિયર્સના હતા. આ મેચમાં ડી વિલિયર્સે 54 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.

એબી ડી વિલિયર્સ 2008થી IPL રમી રહ્યો હતો. તે પહેલા દિલ્હી ડેરડેવિલ્સ માટે રમ્યો અને પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગયો અને આ ટીમમાં રહીને તેણે નિવૃત્તિ લીધી.