પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા (Pakistan vs South Africa) વચ્ચે ત્રણ મેચોની સિરીઝની બીજી વન ડે મેચમાં ફખર જમાન (Fakhar Zaman) જે રીતે રન આઉટ થયો હતો, તેને લઈને ખૂબ વિવાદ સર્જાયો હતો. ફખર જમાન 193 રન બનાવીને દક્ષિણ આફ્રિકાની સામે અંતિમ ઓવરની પ્રથમ બોલ પર રન આઉટ થયો હતો. જેના બાદ પાકિસ્તાનની ટીમે 17 રનથી હાર સહન કરવી પડી હતી. આ રન આઉટને લઈને દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડીકોક (Quinton de Kock)ની રમત ભાવના પર પણ સવાલ ઉઠાવાયા હતા. પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) સહિત અનેક પૂર્વ ક્રિકેટરોએ ડિકોકને ખૂબ સંભળાવી હતી. જોકે આ મામલે પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદે પણ કંઈક અલગ જ વાત રાખી છે.
જાવેદ મિયાંદાદે ફખર જમાનને જ આડેહાથ લઈ લીધો હતો. મિયાંદાદે ફખરને પણ દોષી ગણાવ્યો હતો. મીડિયા રિપોર્ટનુસાર મિયાંદાદે કહ્યુ હતુ કે, તમે બોલથી નજર હટાવી શકતા નથી. તમારો વિકેટથી એટલો જ પ્રેમ હોવો જોઈએ, જેટલો તમને તમારી માશૂકા માટે હોય છે. જો આમ હોત તો તમે આ રીતે રન આઉટ થઈ શકો નહીં. અમે પણ આમ કરતા હતા. હું જોતો કે બોલને સ્ટ્રાઈકર એન્ડ પર થ્રો કરી રહ્યો છુ, પરંતુ બોલને હકીકતમાં નોન સ્ટ્રાઈકર એન્ડ પર થ્રો કરતો હતો. જેનાથી વિરોધી બેટ્સમેન આઉટ થઈ જાય. આ ચાલાકી માનવી જોઈએ.
મેચ બાદ જ્યારે ખુદ ફખરે પણ કહ્યુ હતુ કે, જે રીતે તે રન આઉટ થયો છે. તેમાં ભૂલ ડીકોકની નહીં, પરંતુ પોતાની હતી. ફખર રન પૂરો કરવાનો હતો, ત્યારે જ નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઈશારો કર્યો હતો અને ફખરે પાછળ ફરીને જોયુ અને તે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. લક્ષ્યનો પીછો કરતા ફખરે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાનો વિશ્વ રેકોર્ડ પણ તે ઈનીંગ સાથે પોતાના નામે કરી લીધો હતો.
આ પણ વાંચો: IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કોરોનાએ ચિંતા વધારી મૂકી, પડીક્કલ બાદ સેમ્સ કોરોના સંક્રમિત