Team India: પાકિસ્તાન સામે જીત છતાં આ ખેલાડીના પ્રદર્શને કર્યા નિરાશ, સિલેક્શન પર ઉઠયા સવાલ

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. આ જીત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામે મળી છે. ટીમ ઈન્ડિયા કોઈ એક ખેલાડી પર નિર્ભર નથી. દરેક ખેલાડીએ યોગદાન આપ્યું છે. બેટિંગમાં ક્યારેક વિરાટ કોહલીની ઈનિંગ કામ કરતી તો ક્યારેક રોહિત શર્માની ઈનિંગ. બોલિંગમાં ક્યારેક બુમરાહ તો ક્યારેક રવીન્દ્ર જાડેજા મેચ વિનર સાબિત થયો, એવામાં શાર્દૂલ ઠાકુરના સામાન્ય પ્રદર્શન બાદ તેના સિલેક્શન પર સવાલ ઉઠી રહ્યા છે.

Team India: પાકિસ્તાન સામે જીત છતાં આ ખેલાડીના પ્રદર્શને કર્યા નિરાશ, સિલેક્શન પર ઉઠયા સવાલ
Team India
| Edited By: | Updated on: Oct 15, 2023 | 8:25 AM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ટીમ ઈન્ડિયાએ પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું છે. શનિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા (Team India)ની આ ત્રીજી જીત છે. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન (Pakistan) ને દરેક ક્ષેત્રમાં હરાવ્યું. પહેલા બોલરોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું, પછી બેટ્સમેનોએ ચોગ્ગા-છગ્ગા ફટકારીને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 8મી જીત નોંધાવી.

અન્ય બોલરો કરતાં શાર્દૂલ નબળો સાબિત થયો

ટીમ ઈન્ડિયાએ અગાઉ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા. આ ત્રણેય મેચમાં ખાસ વાત એ છે કે ટીમ કોઈ એક ખેલાડી પર નિર્ભર નહોતી. ત્રણેય મેચમાં જીતના હીરો અલગ-અલગ હતા. પાકિસ્તાન સામેની મેચમાં શાર્દુલ ઠાકુર સિવાય તમામ બોલરોએ વિકેટ લીધી હતી. રોહિતે મેચમાં 6 બોલરનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી 5 બોલરોએ 2-2 વિકેટ લીધી હતી. શાર્દુલે છઠ્ઠા વિકલ્પ તરીકે બોલિંગ કરી.

શાર્દુલને અશ્વિન કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું

તેણે 2 ઓવર ફેંકી અને કોઈ વિકેટ લીધા વિના 12 રન આપ્યા. શાર્દુલને સ્ટાર સ્પિનર ​​આર અશ્વિન કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જોવા મળ્યો હતો. તેણે એક વિકેટ લીધી હતી. આ પછી અફઘાનિસ્તાન સામેની મેચમાં તેના સ્થાને શાર્દુલને તક આપવામાં આવી હતી. આ મેચમાં તેણે 6 ઓવર ફેંકી અને 5.16ની ઈકોનોમીથી 31 રન આપ્યા અને માત્ર એક જ વિકેટ લઈ શક્યો. શાર્દુલને બેટિંગ કરવાની તક મળી ન હતી.

અશ્વિનની અવગણના શા માટે ?

અશ્વિન કરતાં શાર્દુલ ઠાકુરને પ્રાધાન્ય આપવા પર સવાલો ઉભા થયા છે. અશ્વિનની ગણતરી વિશ્વના મહાન સ્પિનરોમાં થાય છે અને તેને મહત્વપૂર્ણ મેચોમાં બહાર રાખવામાં આવે છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કહ્યું હતું કે જે પીચ પર સ્પિનરોને મદદ મળશે, તે મેચમાં અશ્વિનને તક મળશે, જ્યાં ઝડપી બોલરોને મદદ મળશે, ત્યાં શાર્દુલ ઠાકુર રમશે.

આ પણ વાંચો : World Cup 2023: માત્ર 4 દિવસ અને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં કરશે પ્રવેશ!

શાર્દુલની ODI કારકિર્દી

શાર્દુલ ઠાકુરે ટીમ ઈન્ડિયા માટે 46 ODI મેચ રમી છે, જેમાં તેણે 64 વિકેટ લીધી છે. તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 4-37 રહી છે. તેણે 25 ઈનિંગ્સમાં 329 રન બનાવ્યા છે. તેની એવરેજ 17.31 છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 50 રન હતો. શાર્દુલ તે ટીમનો ભાગ છે જ્યાં દરેક ખેલાડી ટીમ ઈન્ડિયાની જીતમાં યોગદાન આપી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ચાહકો હજુ પણ વર્લ્ડ કપની મેચોમાં શાર્દુલના શાનદાર પ્રદર્શનની રાહ જોઈ રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો