દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 24 ઓક્ટોબર અને ફરીથી 31 ઓક્ટોબરે બનેલી ખરાબ પરિસ્થિતિને પાછળ છોડીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને તેના કરોડો ચાહકો ફરી એકવાર આશાથી ભરાઈ ગયા છે. ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ની સેમી ફાઇનલમાં પહોંચવા માટેની આ આશા છે. સતત બે પરાજય બાદ આ આશા જાગી હતી અને સતત બે ધમાકેદાર જીતથી તેને બળ મળ્યું હતું
શુક્રવાર, 5 નવેમ્બરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના જન્મદિવસ પર, નસીબ અને ટીમના પ્રદર્શને તેનો સાથ આપ્યો હતો. હવે 7 નવેમ્બર, રવિવારે ટીમને આ જ નસીબની જરૂર પડશે. આ નસીબ પોતાની મેચમાં નહીં, પરંતુ પોતાના બે હરીફો વચ્ચેની મેચમાં જરૂર પડશે અને જો તે દિવસે નસીબ સાથ આપશે તો ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં પહોંચતા રોકવું મુશ્કેલ બનશે.
વર્લ્ડકપની શરૂઆતમાં જ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હારના કારણે ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની તકો પર ધોવાઇ ગઇ હતી. પરંતુ ત્યાર બાદ પહેલા અફઘાનિસ્તાન અને હવે સ્કોટલેન્ડને ધોઈ દઇને ટીમ ઈન્ડિયા નિરાશામાંથી બહાર આવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે સેમિ ફાઇનલમાં સ્થાન બનાવવાની આશા રાખી શકે છે, સ્વપ્ન જોઈ શકે છે. શુક્રવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સ્કોટલેન્ડને માત્ર 85 રનમાં આઉટ કર્યા બાદ, ભારતે વિસ્ફોટક બેટિંગની મદદથી માત્ર 39 બોલમાં લક્ષ્યનો પીછો કરીને 8 વિકેટે જીત નોંધાવી હતી.
આ જીતથી ભારતને સૌથી મોટો ફાયદો એ થયો કે ટીમ ઈન્ડિયા નેટ રન રેટના મામલે તેના હરીફ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પાછળ છોડી દીધુ છે. ભારતીય ટીમે ખરાબ શરૂઆત બાદ જે કરવાનું હતું તે બધુ લગભગ કરી લીધું છે. હવે તેનું નસીબ અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચ પર ટકેલુ છે. 7 નવેમ્બરે યોજાનારી આ મેચના પરિણામની ભારતીય ટીમ અને ચાહકોને સૌથી વધુ રાહ જોવડાવી રહેશે. તે મેચનું પરિણામ નક્કી કરશે કે ભારતને સેમીફાઈનલમાં સ્થાન મળશે કે નહીં?
ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ કિંમતે અફઘાનિસ્તાનનો વિજય જરૂરી છે. જો અફઘાન ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે અને પછી ભારત 8 નવેમ્બરે છેલ્લી મેચમાં નામીબિયાને હરાવશે તો ત્રણેય ટીમોના 6-6 પોઈન્ટ હશે. ત્યારપછી નેટ રન રેટની રમત આવશે, જ્યાં સ્થિતિ ટીમ ઈન્ડિયાની તરફેણમાં જણાઈ રહી છે.