એશિયા કપ 2022નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ સાથે ભારતીય ટીમ મેનેજમેન્ટને ટીમ કોમ્બિનેશનને લઈને હેરાનગતિ પણ વધી ગઈ છે. ભારત પાસે આ સમયે ક્વોલિટીના વિકેટ કીપર્સ છે. હાલમાં ભારત પાસે દિનેશ કાર્તિક (Dinesh Karthik), ઋષભ પંત (Rishabh Pant), સંજુ સેમસન, ઈશાન કિશનના રૂપમાં વિકેટકીપર છે. એશિયા કપની પ્લેઈંગ ઈલેવનમાં પંત અને કાર્તિક વચ્ચે કોને સ્થાન મળશે તે વિશે પણ તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે.
સ્વાભાવિક રીતે તો પંત પહેલી પસંદગી છે, પરંતુ તેને કાર્તિક સામે તેને ટક્કર મળી રહી છે. એશિયા કપ ભારત માટે ટી-20 વર્લ્ડ કપ પહેલા એક મોટી ઈવેન્ટ છે. બંનેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે કે એકને સ્થાન મળે છે તે પણ જોવાનું રહે છે. ટીમમાં સ્થાનને લઈને પંતે મોટું નિવેદન આપ્યું છે. પંતનું કહેવું છે કે તેને ટીમમાં સ્થાન મળે છે કે કાર્તિક, તે કોચ અને કેપ્ટન પર નિર્ભર કરે છે. બંને વચ્ચેની ટક્કર વિશે કોઈ શંકા નથી. બંને ખેલાડીઓ મેચ વિનર છે અને થોડા બોલમાં મેચને પલટાવવામાં માહિર છે. ઝી હિન્દુસ્તાન મુજબ પંતે કહ્યું કે અમે તેના વિશે વિચારતા નથી. અમે વ્યક્તિગત રીતે હંમેશા અમારી 100 ટકા ટીમને આપવા માંગીએ છીએ. બાકીનો આધાર કોચ અને કેપ્ટન પર છે કે ટીમ તેનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકે છે.
છેલ્લી 10 ઇનિંગ્સમાં પંત અને કાર્તિકના પ્રદર્શનની સરખામણી કરીએ તો પંતે કુલ 171 રન બનાવ્યા જ્યારે કાર્તિકે 155 રન બનાવ્યા. કાર્તિકની 55 રનની ઇનિંગ્સની સરખામણીમાં પંતનો બેસ્ટ સ્કોર 44 હતો. પંતનો ઉપયોગ વિવિધ બેટિંગ ઓર્ડર પર પણ ઘણી વખત થાય છે, જ્યારે કાર્તિકનો ઉપયોગ માત્ર ફિનિશર તરીકે થાય છે. આ દરમિયાન એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે બંને ખેલાડીઓ ઘણી વખત પ્લેઇંગ ઇલેવનમાં સાથે જોવા મળ્યા છે. પરંતુ અત્યાર સુધી ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ સલાહ આપી છે કે ટીમ મેનેજમેન્ટે માત્ર એક જ તક આપવી જોઈએ. આ ટીમ કોમ્બિનેશનને સંતુલિત રાખવામાં મદદ કરશે.