
રવિન્દ્ર જાડેજાના મેદાનમાં પરત ફરવાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, ન્યુઝીલેન્ડ સામેની વ્હાઈટ બોલ સિરીઝ સાથે તે પરત ફરશે. પરંતુ BCCI એ તેને ન્યુઝીલેન્ડ સામે નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ થી પરત ફરવાનો કોલ આપ્યો છે. પરંતુ ટીમ ઈન્ડિયા માં પરત જોડાવા માટે ફિટનેસ સાબિત કરવી મહત્વની છે. જાડેજા હાલમાં બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં પરસેવો વહાવી રહ્યો છે. જોકે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા જાડેજા ચેન્નાઈમાં રણજી મેચ રમતો જોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી મહિને ભારત પ્રવાસે આવનાર છે. આ માટે ગત શુક્રવારે ભારતીય ક્રિકેટ બોર્ડે 4 મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચો માટેની ભારતીય સ્ક્વોડ જાહેર કરી હતી. જેમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ માટે બોર્ડે શરત રાખી હતી, જે મુજબ જાડેજાએ સ્ક્વોડમાં સામેલ થવા ફિટનેસ પૂરવાર કરવી પડશે.
સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા છેલ્લા ચારેક મહિના કરતા વધારે સમયથી ક્રિકેટ મેદાનથી દૂર છે. એશિયા કપ 2022 દરમિયાન ઈજાને લઈ તે મેદાનથી દૂર થવા મજબૂર થયો હતો. ત્યાર બાદ તેણે ઘૂંટણની સર્જરી કરાવી હતી. હવે જાડેજા ઈજાથી ઠીક થઈ ચૂક્યો છે અને તે મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. જોકે આ માટે તે હાલમાં નેશનલ એકેડમીમાં ખૂબ પરસેવો વહાવી રહ્યો છે. એનસીએમાં તે રિહૈબ કરી રહ્યો છે. જોકે આ દરમિયાન જાડેજાને લઈ સમાચાર આવી રહ્યા છે કે, તે ઓસ્ટ્રેલિયા પહેલા રણજી ટ્રોફીમાં રમી શકે છે.
જાડેજાને રણજી મેચમાં રમાડવાનો નિર્ણય પસંદગીકારો અને એનસીએનો છે. રણજી ટ્રોફીના ફાઈનલ રાઉન્ડ તબક્કામાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ તામિલનાડુ સામે ચેન્નાઈમાં ટકરાશે. આ મેચનો હિસ્સો જાડેજા હોઈ શકે છે. જેથી તેની ફિટનેસ પુરવાર થઈ શકશે.
ફેબ્રુઆરીની 9મી તારીખથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની શરુઆત થવાની છે. આ માટેની 17 સભ્યોની સ્ક્વોડનુ એલાન ભારતીય બોર્ડે કર્યુ હતુ. જે એલાન પ્રથમ બે ટેસ્ટ ટીમ માટેનુ કરવામાં આવ્યુ હતુ. જેમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે જાડેજા મેદાનમાં પરત ફરવા ભરપૂર તૈયારીઓ કરી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી બેટિંગ અને બોલિંગ કરી રહ્યો છે. જાડેજા ભારતીય ટીમમાં મહત્વની ભૂમિકા ભજવતો નજર આવ્યો છે. તે મિડલ ઓર્ડરમાં બેટિગ વડે ટીમને ઉપયોગી રન નિકાળે છે.
Published On - 10:04 am, Sun, 15 January 23