પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2016માં છેલ્લી વખત ભારતના પ્રવાસે આવી હતી. આ દરમિયાન ભારતમાં T20 વર્લ્ડ કપ રમાયો હતો. આ ટૂર્નામેન્ટ બાદ પાકિસ્તાનની ટીમે ભારતનો પ્રવાસ કર્યો નથી. આ બધા વચ્ચે બંને દેશોના ચાહકો માટે એક મોટા સારા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ લગભગ 7 વર્ષ બાદ ભારત આવી શકે છે. વનડે વિશ્વકપ 2023માં કુલ 48 મેચોનુ આયોજન કરવામાં આવશે. જેમાંથી 3 મેચો નોકઆઉટ રહેશે. વિશ્વકપ 46 દિવસ સુધી ચાલશે.
ODI વર્લ્ડ કપ 2023 ઓક્ટોબરથી ભારતમાં રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટૂર્નામેન્ટ માટે, BCCIએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને ખાતરી આપી છે કે પાકિસ્તાન ટીમના વિઝાની મંજૂરી ભારત સરકાર આપશે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત આવી શકે છે અને ODI વર્લ્ડ કપ 2023માં ભાગ લેશે. આ દરમિયાન ક્રિકેટ ચાહકોને બંને ટીમો વચ્ચેની સ્પર્ધા પણ જોવા મળશે.
ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, ભારતમાં આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રિપોર્ટ અનુસાર, 2023 વર્લ્ડ કપમાં ત્રણ નોકઆઉટ મેચો સહિત કુલ 48 મેચો રમાશે. બીસીસીઆઈએ આ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અનેક સ્થળોની પસંદગી કરી છે. જેમાં બેંગ્લોર, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, દિલ્હી, ધર્મશાલા, ઈન્દોર, મુંબઈ અને રાજકોટનો સમાવેશ થાય છે.
એશિયા કપ 2023 પાકિસ્તાનની યજમાનીમાં રમાવાનો છે. તેવી વાતો ચાલી રહી છે આ ટૂર્નામેન્ટને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાનમાં રમવા નહીં જાય. PCBનું કહેવું છે કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023માં રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ પણ ODI વર્લ્ડ કપ 2023માં રમવા માટે ભારત નહીં જાય.
વિશ્વકપ 2023 નુ શેડ્યૂલ હજુ સુધી જાહેર થયુ નથી. અગાઉ આ શેડ્યૂલ એકાદ વર્ષ પહેલાથી જ સામે આવી જતા હતા. આ માટે બે મુદ્દાઓ માનવામાં આવી રહ્યા છે. એક તો પાકિસ્તાની ખેલાડીઓને ભારત આવવાને લઈ વિઝા અને બીજો ટેક્સની બાબત. આ બંને મુદ્દે ભારત સરકાર પાસેથી ગ્રીન સિગ્નલ મેળવવા જરુરી છે. આ કાર્યવાહી માટે લાંબો સમય રહ્યો છે. જોકે હવે પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવાને લઈ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે.