
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2023 ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સ ટીમનો ખેલાડી કેન વિલિયમસન ઈજા ગ્રસ્ત થયો હતો. ઈજાને લઈ તે પૂરી સિઝનથી બહાર થયો હતો. હવે તે લાંબો સમય ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે અને વિશ્વકપથી પણ બહાર થવાનુ જોખમ તોળાઈ રહ્યુ છે. વિલિયમસન પ્રથમ મેચમાં જ ઈજાનો શિકાર થયો હતો અને જેને લઈ હવે તે સ્વદેશ ન્યૂઝીલેન્ડ પરત ફર્યો છે.
ઈજાને લઈ તે ચેન્નાઈ સામેની પ્રથમ મેચમાં બેટિંગ કરવા માટે મેદાને ઉતરી શક્યો નહોતો. તેને ઘૂંટણમાં ઈજા થયા બાદ સપોર્ટ્સ સ્ટાફ દ્વારા ઉંચો કરીને મેદાનની બહાર લઈ ગયા હતા. IPL 2023 થી બહાર થયા બાદ હવે ન્યૂઝીલેન્ડમાં વિલિયમસનનુ સ્કેનિંગ કરવામાં આવ્યુ છે. જ્યાં તેના ઘૂંટણની ઈજાને લઈ સર્જરી કરવી પડશે એવા સમાચાર સામે આવ્યા છે. ઘૂંટણના ઓપરેશન બાદ વિલિયસને રિહૈબ કરવુ પડશે. આમ તેનુ લાંબા સમય સુધી રમતમાં પરત ફરવા માટે રાહ જોવી પડી શકે છે. આમ તેના વિશ્વકપ રમવાને લઈ સસ્પેન્સ સર્જાયુ છે.
સમાચારો મુજબ ઘૂંટણીની ઈજાને લઈ તેને સર્જરી કરવામાં આવનાર છે. જે આગામી ત્રણેક સપ્તાહમાં કરવામાં આવી શકે છે. કેન વિલિયમસને કહ્યુ હતુ કે, રિકવરી થવામાં થોડો સમય લાગી શકે છે. સાથે જ મેદાન પર તે ક્યારે પરત ફરશે એ નિશ્ચિત નથી અને જેને લઈ વિલિયમસન થોડો નિરાશ નજર આવી રહ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, જેટલુ જલદી સંભવ બને એટલુ સારુ.
ઈજા બાદ ફેન દ્વારા તેના પ્રત્યે ખૂબ લાગણી દર્શાવાઈ હતી. ચાહકોએ તેના જલદી સ્વસ્થ થવાને લઈ શુભેચ્છા પાઠવી હતી. વિલિયમસને ચાહકો અને શુભેચ્છા પાઠવનાર સૌ કોઈનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઉપરાંત તેઓએ આઈપીએલ ટીમ ગુજરાત ટાઈટન્સ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટનોપણ સપોર્ટ માટે આભાર માન્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 8:54 am, Thu, 6 April 23