IPL 2023 ની શરુઆત આગામી 31 માર્ચથી શરુ થનારી છે. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગને લઈ આતુરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે અને હવે તેની શરુઆત આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી કેટલાક મહત્વના ફેરફાર જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડ મોટા પરિવર્તન સાથે આગામી સિઝનની શરુઆત કરી શકે છે. આ ફેરફારો આઈપીએલની મેચોના પરિણામ પર મોટી અસર સર્જી શકે છે.
અત્યાર સુધી પ્લેઈંગ ઈલેવન માટેનુ લિસ્ટ મેચ રેફરીને ટોસ પહેલા સોંપવામાં આવતુ હતુ. પરંતુ હવે આગામી સિઝનમાં આ નિયમમાં ફેરફાર થઈ શકે છે. હવે ટીમનો કેપ્ટન પોતાની પ્લેઈંગ ઈલવન ટોસ બાદ જાહેર કરશે. એટલે કે ટોસ બાદ પ્લેઈંગ ઈલેવનની યાદી મેચ રેફરીને સોંપવામાં આવશે. આમ ટીમનો સુકાની બે યાદી પોતાની સાથે ટોસ દરમિયાન રાખી શકે છે. આમ ટોસ પર આધાર રાખીને ટીમની અંતિમ ઈલેવનનુ સિલેક્શન કરી શકે છે.
આ પહેલા આ નિયમ દક્ષિણ આફ્રિકામાં શરુ થયેલી ક્રિકેટ લીગમાં જોવા મળ્યો હતો. જ્યાં ટોસ બાદ ટીમ દ્વારા પોતાની પ્લેઈંગ ઈલેવનની યાદી રેફરીને સોંપવામાં આવતી હતી. એટલે કે ટોસ બાદ તેના નિર્ણય આધારે ટીમના કેપ્ટન પોતાની ઈલેવન જાહેર કરતા હતા. આ પહેલા સુકાની 13 ખેલાડીઓની યાદી રાખતા હતા. જ્યારે ટોસ થઈ જાય, ત્યારે તેના આધારે ઈલેવન પસંદગી કરવામાં આવતી હતી.
રીપોર્ટ્સ મુજબ હવે આઈપીએલમાં પણ કંઈક આમ જ જોવા મળી શકે છે. આ નિયમના ફેરફારથી હવે મેચના પરિણામ પર અસર જોવા મળી શકે છે. કેટલાક મેદાનમાં ટોસનુ મહત્વ ખૂબ રહેશે અને જેમાં ટીમ ટોસની હાર જીત આધારે પોતાની અંતિમ ઈલેવનને પસંદ કરશે. પહેલા 11 ખેલાડીઓ નિશ્ચિત રાખીને ટોસ કરવામાં આવતો હતો. હવે આ વાતની રાહત ટોસ હારનારી ટીમને પણ થશે.
વધુ એક ફેરફાર પણ વિકેટકીપર અને ફિલ્ડરને લઈ જોવા મળશે. જે મુજબ વિકેટકીપર અને ફિલ્ડર મેચ દરમિયાન કોઈ ખોટી બિનજરુરી મૂવમેન્ટ કરી શકશે નહીં. આમ કરવા પર 5 રનની પેનલ્ટી પણ લાગી શકે છે અને ડેડ બોલ પણ જાહેર કરવામાં આવી શકે છે. આમ વિકેટકીપર અને ફિલ્ડરોની બિનજરુરી હલનચલન પર રોક લાગશે.
નિયત સમય મર્યાદામાં પૂરી કરવી પડશે ઓવર. નિર્ધારીત કરવામાં આવેલા સમયમાં ઓવર ટીમ દ્વારા પુરી કરવામાં નહી આવે તો, ટીમને ઓવર પેનલ્ટી લાગશે. આવામાં 30 ગજ સર્કલની બહાર ચાર ખેલાડીઓને રાખવની જ પરવાનગી હશે.