કોવિડ-19 ને કારણે ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 14 મી સીઝન અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. હવે તેની આગળની મેચો સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમ્યાન યોજાશે. BCCI એ લીગની બાકી મેચો માટે આરોગ્ય અને સુરક્ષા પ્રોટોકોલ જારી કર્યા છે. BCCI એ નક્કી કર્યું છે કે, જો બોલ સ્ટેન્ડમાં અથવા સ્ટેડિયમની બહાર જાય તો તેને બદલવામાં આવશે. જે બોલ સ્ટેન્ડ અથવા સ્ટેડિયમની બહાર ગયો છે તે પાછો આવે ત્યારે તેને સેનિટાઈઝ કરવામાં આવશે. તે પછી તેને લાઇબ્રેરીમાં રાખવામાં આવશે.
મીડિયા રિપોર્ટનુસાર બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા પ્રોટોકોલને ટાંકીને આ અંગે કહ્યું છે. જે મુજબ જો બોલ સ્ટેન્ડમાં જાય અથવા સ્ટેડિયમની બહાર જાય તો ચોથા અમ્પાયર દ્વારા તેને લાઈબ્રેરીમા રહેલા બોલ વડે બદલશે. જ્યારે જૂનો બોલ પાછો આવે, ત્યારે આ બોલને આલ્કોહોલ યુક્ત વાઇપ્સ/યુવીસી વડે સેનિટાઇઝ કરવામાં આવશે અને તેને લાઇબ્રેરીમાં રાખવામાં આવશે.
બીસીસીઆઈ અનુસાર, ક્રિકેટ બોલને લઇ કરવામાં આવેલા નવા સંશોધન મુજબ, બોલ વડે કોરોના વાયરસ થવાની સંભાવના ઘણી ઓછી છે. પરંતુ બોર્ડ કોઈ પણ પ્રકારનુ જોખમ લેવા માંગતું નથી. કેટલાક ખેલાડીઓ કોવિડથી સંક્રમિત જોવા મળ્યા હતા, તેથી આ ટુર્નામેન્ટને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી.
એવી પણ ચર્ચા છે કે બોર્ડ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં લાવવાનું વિચારી રહ્યું છે, પરંતુ તેઓ સ્ટેડિયમની ઉપરનાં હિસ્સામાં બેસી શકશે. બીસીસીઆઈ દ્વારા એ પણ સ્પષ્ટ કર્યું છે કે, વોશરૂમ સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ થૂંકવાની મનાઈ રહેશે.
ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના કર્મચારીઓએ છ દિવસના આઇસોલેશનમાંથી પસાર થવું પડશે. આ સિવાય બાયો બબલમાં આવતા પહેલા તેમનો ત્રીજો ટેસ્ટ નેગેટિવ આવે તે જરૂરી છે. જોકે ઈંગ્લેન્ડમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓ દુબઈમાં ક્વોરન્ટાઇન સમયગાળામાંથી પસાર થશે નહીં. પરંતુ આ માટે તેમણે બબલ ટુ બબલ ટ્રાન્સફરની શરતો પૂરી કરવી પડશે.
ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ, દક્ષિણ આફ્રિકાના શ્રીલંકા પ્રવાસ અને કેરેબિયન પ્રીમિયર લીગથી આવતા ખેલાડીઓ, ટીમ સપોર્ટ સ્ટાફ, કોમેન્ટેટર્સ, બ્રોડકાસ્ટ ક્રૂ બાયો-સુરક્ષિત વાતાવરણમાં હશે. તેઓ સીધા જ પ્લેનમાં બેસશે. એરપોર્ટ પર તેમને ઇમિગ્રેશન અને અન્ય બાબતોમાંથી મુક્તિ મળશે.