IND vs SL 3rd ODI: તિરુવનંતપુરમમાં કોઈ કસર નહીં છોડે ટીમ ઈન્ડિયા, ક્લીન સ્વીપ કરવાનો ઈરાદો

IND vs SL 3rd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝમાં 2-0થી લીડ મેળવી છે. આમ પહેલાથી જ શ્રેણી પોતાને નામ કરી લીધી છે.

IND vs SL 3rd ODI: તિરુવનંતપુરમમાં કોઈ કસર નહીં છોડે ટીમ ઈન્ડિયા, ક્લીન સ્વીપ કરવાનો ઈરાદો
IND vs SL 3rd odi match preview
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:42 AM

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝની અંતિમ મેચ આજે તિરુવનંતપુરમમાં રમાનારી છે. અહીં જ ગત સપ્ટેમ્બર 2022 માં દક્ષિણ આફ્રિકા સામેની T20માં 9 રનના સ્કોરમાં 5 વિકેટ શરુઆતમાં જ ભારતીય ઝડપી બોલરોએ ખેરવી દીધી હતી. ભારતીય ટીમ 3 મેચની આ સિરીઝમાં પ્રથમ બંનેમાં જીત નોંધાવી ચુક્યુ છે. આમ સિરીઝ ટીમ ઈન્ડિયાના નામે કોલકાતામાંજ થઈ ચુકી છે, પરંતુ હવે નજર ક્લીન સ્વીપ કરવા પર છે. રોહિત એન્ડ કંપની વર્ષની પ્રથમ વનડે સિરીઝની જીતને શાનદાર બનાવવાના મુડમાં છે. આમ આજની મેચને સહેજે હળવાશથી કેપ્ટન રોહિત શર્મા કે ટીમ મેનેજમેન્ટ નહીં લેવા માંગે.

ટીમ ઈન્ડિયામાં જોકે અંતિમ અને ભારત માટે ઔપચારિક સમાન આ મેચને લઈ થોડોક ફેરફાર કરી શકે છે, બેંચ પર બેઠેલા કેટલાક સ્ટારને અજમાવી શકે છે. આજની વનડે મેચ સાથે જ શ્રીલંકાનો ભારત પ્રવાસ સમાપ્ત થશે. શ્રીલંકાએ આ પહેલા 3 મેચોની T20 સિરીઝમાં હાર સહન કરી હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ ભારતે 2-1 થી સિરીઝ જીતી હતી. આમ શ્રીલંકાએ પ્રવાસ દરમિયાન અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે. આમ પ્રવાસની અંતિમ મેચમાં તે ટક્કર આપી ખરાબ પ્રદર્શન સાથે પરત ફરવાને બદલે તેમાં સુધાર કરવાનો પુરો પ્રયાસ કરશે.

બેન્ચ પર રહેલા સ્ટાર્સને મળશે મોકો?

ગુવાહાટીમાં સિરીઝની પ્રથમ વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ શાનદાર રમત દર્શાવી હતી. રોહિતની ઈનીંગ જબરદસ્ત હતી. તો વિરાટ કોહલીએ શાનદાર સદી નોંઘાવી હતી. આમ ભારતે પ્રથમ વનડેમાં 373 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. બીજી વનડે કોલકાતામાં રમાઈ હતી જેમાં ભારત મુશ્કેલ સ્થિતીમાં મુકાયુ હતુ, કેએલ રાહુલની શાનદાર ઈનીંગને લઈ ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. આમ સંઘર્ષભરી રમતનો સામનો ટીમ ઈન્ડિયાને ઈડન ગાર્ડન્સમાં કરવો પડ્યો હતો.

હવે ત્રીજી વનડેમાં ભારતીય ટીમ સિરીઝને લઈ નિશ્ચિત છે. શ્રેણી 2-0 થી પહેલાથી જ પોતાને નામ કરી લીધી છે. હવે અંતિમ વનડેમાં ભલે હળવાશ ભર્યો માહોલ ના રાખે પરંતુ આમ છતાં વિશ્વકપની તૈયારીઓને ધ્યાને રાખીને અને કેટલાક સ્ટાર ખેલાડીઓને બેન્ચ પર બેસવાને બદલે મોકો આપી પ્રયોગ કરી શકાય છે. જેમ કે ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ બેટિંગ વિભાગમાં અને શમીને સ્થાને અર્શદીપ સિંહને ઉતારવામાં આવી શકે છે. જેથી સંતુલન પણ ટીમનુ જળવાઈ રહે અને ખલેાડીઓને મોકો પણ મળતો રહેશે. અર્શદીપે અગાઉ સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે આ પિચ પર તરખાટ મચાવ્યો હતો.

ભારત અને શ્રીલંકાની ટીમ

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમ, ચરિત અસલંકા, ધનંજયા ડી’સિલ્વા, વાનિન્દુ હસરાંગા, એશેન બંદારા, મહેશ તિક્ષાના, ચમિકા કરુણારત્ને, દિલશાન મદુશંકા, કાસુન રજીતા, નુવાનિદુ ફર્નાન્ડો, દુનિથ વેલાલાગે, પ્રમોદ મદુશન અને લાહિરુ કુમારા.

 

Published On - 9:21 am, Sun, 15 January 23