ભારતીય ક્રિકેટ ટીમ આજે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ઉતરશે ત્યારે તે ત્રીજી મેચમાં પણ ન્યુઝીલેન્ડને હરાવીને ત્રણ મેચની વનડે સિરીઝ 3-0થી જીતવાનો પ્રયાસ કરશે. આ સતત બીજી વનડે સિરીઝ હશે જેમાં ટીમ ઈન્ડિયા આ સ્કોર લાઈન સાથે જીતશે. આ સિરીઝ પહેલા ભારતે શ્રીલંકાને વનડે સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું. હાલની સિરીઝની પ્રથમ બે મેચ જીતીને ટીમ ઈન્ડિયામાં આત્મવિશ્વાસની કોઈ કમી નથી. ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે ટીમનો મિડલ ઓર્ડર વધુ સારું પ્રદર્શન કરે.
ટીમ ઈન્ડિયા પહેલા જ સીરિઝ જીતી ચૂકી છે અને તેથી જ ભારત આ મેચમાં પોતાની બોલિંગમાં થોડો ફેરફાર કરી શકે છે. ઓપનર શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. તેણે પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી અને બીજી લો સ્કોરિંગ મેચમાં 40 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ સારી શરૂઆત કરી છે અને તે તેને મોટા સ્કોરમાં ફેરવવા માંગશે.
ભારતીય ટીમ સારી રીતે જાણતી હશે કે સિરીઝમાં 2-0ની અજેય લીડ હોવા છતાં, અત્યાર સુધી માત્ર ગિલ અને રોહિત જ રન બનાવી શક્યા છે. એ પણ હકીકત છે કે અન્ય બેટ્સમેનોને પૂરતી તકો મળી નથી, તેથી ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને મેચની સ્થિતિમાં બેટિંગ પ્રેક્ટિસ કરવાની સારી તક મળશે.
બોલિંગ વિભાગમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે અને ઝડપી બોલર ઉમરાન મલિક અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટીમમાં રાખવામાં આવી શકે છે. ભારતીય બોલરોએ પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને છ વિકેટે 131 રનમાં આઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડને 300થી વધુ રન બનાવવાની તક આપી હતી પરંતુ રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને હાર્દિકે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે જ્યારે સ્પિનરોએ પણ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી છે.
ન્યુઝીલેન્ડ આ મેચ જીતીને ભારતને ક્લીનસ્વીપ કરતા રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે અને ટી-20 સિરીઝ પહેલા તેનું મનોબળ વધારવા માંગશે. ન્યૂઝીલેન્ડને બેટિંગમાં પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનની ખોટ છે. ન્યૂઝીલેન્ડના ટોચના છ બેટ્સમેનોએ છેલ્લી 30 ઇનિંગ્સમાં માત્ર સાત વખત 40 કે તેથી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી માત્ર માઈકલ બ્રેસવેલ જ તેમના બેટિંગ ક્રમમાં પ્રભાવ પાડી શક્યા છે. તેના સિવાય સેન્ટનેરે પણ હૈદરાબાદમાં પ્રથમ મેચમાં સારી બેટિંગ કરી હતી. હોલકર સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં બોલરોએ બેટ્સમેનોને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડશે.