ભારતે 5મી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 378 રનનો ટાર્ગેટ આપ્યો છે. સોમવારે, મેચના ચોથા દિવસે, ભારતીય ટીમ (Indian Cricket Team) તેની બીજી ઇનિંગમાં 245 રનમાં સમેટાઈ ગઈ હતી અને આ રીતે ભારતે યજમાન ટીમ પર 377 રનની લીડ મેળવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 416 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લિશ ટીમ 284 રન જ બનાવી શકી હતી અને ભારતને પ્રથમ દાવમાં મજબૂત લીડ મળી હતી. રમતના ચોથા દિવસે પ્રથમ દાવમાં સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) અડધી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ ત્રીજા દિવસે જ પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. પંતે 86 બોલમાં 57 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા અને પંતે ચોથા દિવસે ભારતના સ્કોરને 125/3 થી આગળ વધાર્યો હતો.
ભારતીય ઓપનર ચેતેશ્વર પુજારાએ શાનદાર રમત દર્શાવી હતી. તેણે જ્યારે શરુઆતમાં ભારતીય બેટ્સમેનો ઝડપથી પરત ફરવા લાગતા એક છેડો સાચવી લીધો હતો. ધીમી અને મક્કમ રમત રમીને સ્કોર બોર્ડને ચલાવ્યુ હતુ. આ દરમિયાન શુભમન ગિલ (4), હનુમા વિહારી (10) અને વિરાટ કોહલી (20) જેવા બેટ્સમેન ઝડપભેર પરત ફર્યા હતા. જોકે પંતે આવીને તેની સાથે સારી ભાગીદારી રમત રમી હતી. બંનેએ ત્રીજા દિવસના અંત સુધીમાં અડધી સદીની ભાગીદારી કરી લીધી હતી. આ દરમિયાન પુજારાએ પણ પોતાની અડદી સદી નોંધાવી હતી. પુજારા 66 રન કરીને પરત ફર્યો હતો.
પંતે 57 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીઘા હતા. ઇંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાં પંત હિરોની ભૂમિકામાં રહ્યો છે. પ્રથમ દાવમાં તેણે શાનદાર ઝડપી સદી ફટકારી હતી અને બીજા દાવમાં અડદી સદી નોંધાવી હતી. પંતની આ રમતને લઈ ભારત ઇંગ્લેન્ડ સામે મોટો સ્કોર ખડકવામાં સફળ રહ્યુ હતુ. શ્રેયસ અય્યર અને રવિન્દ્ર જાડેજા બીજા દાવમાં મોટો સ્કોર ખડકી શક્યા નહોતા. શાર્દૂલ ઠાકુરે 4 રન અને શમીએ 13 રન નોંધાવ્યા હતા. કેપ્ટન બુમરાહ 7 રન નોંધાવીને પરત ફર્યો હતો. આમ ભારતનો દાવ 245 રનમાં સમેટાઈ ગયો હતો.
બેન સ્ટોક્સે ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. તેણે ભારતના ચાર ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા. જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ અને મેથ્યૂ પોટ્સે 2-2 વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસન અને જેક લીચને એક વિકેટ નસીબ થઈ હતી.
Published On - 6:29 pm, Mon, 4 July 22