IND vs ZIM: શિખર ધવનના બદલે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આ ખેલાડી સંભાળશે, ફીટ જાહેર થતા ઝીમ્બાબ્વે જશે

ભારતે ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) સામે 3 મેચની વનડે શ્રેણી રમવાની છે, જે 18 ઓગસ્ટથી શરૂ થશે. આ માટે શિખર ધવન (Shikhar Dhawan) ને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

IND vs ZIM: શિખર ધવનના બદલે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આ ખેલાડી સંભાળશે, ફીટ જાહેર થતા ઝીમ્બાબ્વે જશે
KL Rahul કેપ્ટન તરીકે ઝીમ્બાબ્વે પ્રવાસ ખેડશે
| Edited By: | Updated on: Aug 12, 2022 | 8:20 AM

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) નો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને હવે તે ટીમની કમાન સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે મેડિકલ ટીમે રાહુલને રમવા માટે ફિટ જાહેર કર્યો છે અને આવી સ્થિતિમાં બોર્ડે દિગ્ગજ ઓપનરને ઝિમ્બાબ્વે મોકલવાનો નિર્ણય લીધો છે. જેથી એશિયા કપ 2022 (Asia Cup 2022) પહેલા તે પોતાની જાતને લયમાં લાવી શકે છે.

ટીમમાં પાછો ફર્યો, કેપ્ટન બન્યો

બીસીસીઆઈની એક રીલીઝ મુજબ, બીસીસીઆઈની મેડિકલ ટીમે કેએલ રાહુલની તપાસ કરી અને તેને ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં રમવા માટે ફિટ જાહેર કર્યો. ભારતીય સિનિયર સિલેક્શન કમિટીએ તેને ટીમનો કેપ્ટન બનાવ્યો છે અને શિખર ધવનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

રાહુલ બે મહિના ટીમની બહાર રહ્યો

કેએલ રાહુલ બે મહિનાથી વધુ સમયથી મેદાનની બહાર છે. મેના અંતમાં આઈપીએલ 2022 પછી તેણે કોઈ મેચ રમી નથી. તે જૂનમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનો હતો, પરંતુ શ્રેણી શરૂ થાય તે પહેલા તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેની સારવાર માટે, તે જર્મની ગયો, જ્યાંથી તે સર્જરી પછી પાછો આવ્યો અને પછી તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટી20 શ્રેણી માટે જનારો હતો. જો કે, તે પહેલા પણ તે કોરોના સંક્રમીત થઈ ગયો હતો અને આ શ્રેણીમાં જઈ શક્યો ન હતો.

રાહુલની ફિટનેસની આ સમસ્યાને જોતા બોર્ડે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમની કમાન શિખર ધવનને સોંપી હતી. જો કે હવે રાહુલની વાપસી સાથે ટીમની બાગડોર ફરી એકવાર રાહુલના હાથમાં આવી ગઈ છે. રાહુલ ત્રણેય ફોર્મેટમાં ટીમનો વાઇસ કેપ્ટન છે. જોકે રાહુલના આગમનથી કોઈ ખેલાડીની જગ્યા ખાલી નથી થઈ, પરંતુ તેનાથી ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા ઓપનરને રમવાની શક્યતા ઘટી જશે. ત્રણ મેચોની શ્રેણી 18 ઓગસ્ટથી શરૂ થશે.

ઝિમ્બાબ્વે શ્રેણી માટે ભારતીય ટીમ

કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.

Published On - 8:15 am, Fri, 12 August 22

Follow Us