મહત્વના ખેલાડીઓ વિના ઉતરેલી ટીમ ઇન્ડીયા (Team India) એ શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં હાર મેળવવી પડી હતી. શ્રીલંકાએ ભારતીય ટીમને 4 વિકેટથી હાર આપી હતી. T20 શ્રેણી હવે 1-1 થી બરાબરી પર છે અને ગુરુવારે રમાનારી અંતિમ T20 મેચ નિર્ણાયક મેચ રહી છે. ભારતના મુખ્ય ખેલાડીઓ ક્વોરેન્ટાઇન પ્રોટોકોલને કારણે બીજી T20 માં મેચમાં રમી શક્યા ન હતા. કારણ કે, ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ હોવાનું જણાયો હતો.
ભારતીય ટીમે પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા 132 રન બનાવ્યા હતા. જે શ્રીલંકાની ટીમે પીછો કરતા અંતિમ 20મી ઓવરમાં હાંસલ કરી લીધા હતા. આ મેચ દરમિયાન ભારતીય કોચ રાહુલ દ્રાવિડે (Rahul Dravid) 12 મા ખેલાડીને ચીઠ્ઠી આપીને મેદાનમાં મોકલ્યો હતો. જેને લઇ ચર્ચાઓ થઈ રહી છે. આ બાબત શ્રીલંકાની ઇનિંગ્સની 18 મી ઓવરમાં થઇ હતી. જે સમયે વરસાદને કારણે મેચ થોડા સમય માટે વિક્ષેપિત થઈ હતી. તે સમયે શ્રીલંકાનો સ્કોર છ વિકેટે 113 રન હતો. જોકે, થોડાક જ સમયમાં વરસાદ બંધ થતા રમત ફરી શરૂ થઈ હતી.
આ ટૂંકા વિરામ દરમિયાન, 12 મો ખેલાડી સંદીપ વોરિયર ચીઠ્ઠી સાથે મેદાનમાં દોડીને જતો જોવા મળ્યો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ડકવર્થ-લુઇસ અનુસાર રનના આંકડા સમજાવવા માટે આ ચીઠ્ઠી મોકલવામાં આવી હતી. પરંતુ રમતની ફરીથી ઝડપથી શરૂઆતના કારણે ડકવર્થ-લુઇસની જરૂર નહોતી રહી. આમ શ્રીલંકાએ મેચ સરળતાથી જીતી લીધી હતી.
શ્રીલંકાની જીત બાદ કેપ્ટન દાસુન શનાકાએ વચ્ચેની ઓવરોમાં સંભાળીને રમવા માટે વાનિન્દુ હસારંગા અને ધનંજ્ય ડી સિલ્વાની સરાહના કરી હતી. બીજી તરફ ભારતીય કેપ્ટન શિખર ધવન પોતાની ટીમથી 10-15 રન ઓછા બનવાને લઇ નિરાશ હતો.
T20 શ્રેણીની છેલ્લી મેચ ગુરુવારે કોલંબોના આર પ્રેમદાસા મેદાન પર રમાશે. ટીમમાં મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીને કારણે મેનેજમેન્ટની મુશ્કેલીઓ વધી છે. તેઓ એવી પૂરી કોશીષમાં છે કે એવી ટીમને મેદાનમાં ઉતારશે, જે આજની મેચ જીતી શકે અને શ્રેણી પર કબજો જમાવી શકે.
કોલંબોની પીચ બીજી T20 મેચમાં સ્પિન બોલર માટે સ્વર્ગ બની ગઈ. જેમ જેમ રમત આગળ વધતી ગઈ તેમ બેટિંગ મુશ્કેલ બની ગઈ હતી. આજની મેચમાં પણ લગભગ આમ જ જોઈ શકાય છે.