ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે જોહાનિસબર્ગ (Johannesburg Test) માં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો છે. આ સાથે જ ટેસ્ટ સિરીઝ હવે 1-1 થી બરાબરી પર આવી ચુકી છે. ભારતીય બેટ્સમેનોના નબળા પ્રદર્શનને લઇને ભારતે મુશ્કેલ સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વરસાદના બદલાયેલા માહોલ બાદ પણ બોલરો તેનો પુરતો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. આફ્રિકાના કેપ્ટન ડિન એલ્ગરે (Dean Elgar) શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.
એલ્ગરે કેપ્ટન ઇનીંગ રમીને ટીમને જીત અપાવી હતી, આ સાથે જ તેણે આફ્રિકાને ટીમ ઇન્ડિયા સામે સિરીઝને ગુમાવાના સ્થિતીને પણ બચાવી હતી. ભારતીય ટીમ સિરીઝને અજેય કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય બેટ્સમેનો દ્વારા મોટા સ્કોરના અભાવને લઇ આફ્રિકાને મોકો મળ્યો હતો. ભારતીય બોલરો પણ ચોથા દિવસે પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યા નહોતા. ભારતે જોહાનિસબર્ગમાં પ્રથમ વાર હારને સહન કરવી પડી હતી.
240 રનના ટાર્ગેટને પાર પાડવા માટે આફ્રિકા ના કેપ્ટન એલ્ગરે અણનમ 96 રન નોંધાવ્યા હતા. જ્યારે ટેમ્બા બાવુમાએ અણનમ 23 રન કર્યા હતા. ઓપનર એડન માર્કરમે 31 રન કર્યા હતા. જ્યારે કીગન પીટરસને 28 રનનુ યોગદાન આપ્યુ હતુ. ડેર ડુસેને 40 રન ટીમ માટે જોડ્યા હતા. આજે ચોથા દિવસે આફ્રિકાએ ડુસેનની એક માત્ર વિકેટ ગુમાવી હતી. જોકે ત્યાર બાદ એલ્ગર અને બાવુમાએ ટીમની જીતની જવાબદારી પોતાના ખભે લીધી હતી અને ભારતીય બોલરોના તમામ પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા.
આ પહેલા ચોથા દિવસે વરસાદને કારણે પહેલા બે સેશન રમાઈ શક્યા ન હતા. લાંબા સમય બાદ વરસાદ બંધ થયો હતો અને ખેલાડીઓ મેદાનમાં પરત ફર્યા હતા. દિવસભર જોકે વરસાદ બંધ થવાની અને રમત શરુ થવાની રાહ જોવાઇ રહી હતી. આમ રાહ જોવા દરમિયાન બે સત્ર વરસાદે ખરાબ કરી દીધા હતા. જોકે ત્રીજા સેશન પહેલા વરસાદ રોકાઇ જતા અંતે ત્રીજા સેશનની રમત માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.
દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસના અંતે બે વિકેટના નુકસાને 118 રન બનાવ્યા હતા. એલ્ગર 46 રને અણનમ પરત ફર્યો હતો અને આજે આવીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યાર બાદ આજે એલ્ગર અને ડુસેને રમતને આગળ વધારી હતી.
Published On - 9:23 pm, Thu, 6 January 22