ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અને 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય મદન લાલ (Madan Lal) ને લાગે છે, કે યુવા વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને આ સમયે બ્રેક આપવો જોઈએ. જેથી કરીને તે પોતાની જાતને ફરીથી ગોઠવી શકે. તેમજ જ તે પોતાના જુના અંદાજમાં પણ પરત ફરી શકે. ઋષભ પંત હાલમાં રન માટે ઝઝૂમી રહ્યો છે.
જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચની બીજી ઈનિંગમાં જે રીતે તેણે પોતાની વિકેટ ગુમાવી ત્યારથી ડાબોડી બેટ્સમેન ટીકાકારોના નિશાના પર છે. મદન લાલે કહ્યું છે કે તેમાં કોઈ શંકા નથી કે પંત એક મહાન ખેલાડી છે પરંતુ આ સમયે તેને બ્રેક આપવાની જરૂર છે.
બીજી ઈનિંગમાં ભારતે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી અને તે પછી પંત આવ્યો હતો. એવી અપેક્ષા હતી કે પંત ટીમને સંભાળશે પરંતુ તેણે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ સાથે ઘર્ષણ પર ઉતર્યો. જેના બાદ કાગિસો રબાડાના બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે આઉટ થઈ ગયો. મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ પંતની ટીકા કરી હતી.
મદન લાલે કહ્યું કે પંત મેચ વિનિંગ ખેલાડી છે પરંતુ તે જોહાનિસબર્ગની જેમ બેટિંગ કરી શકતો નથી. તેણે કહ્યું, પંતને બ્રેક આપવો જોઈએ અને પછી તમારી પાસે રિદ્ધિમાન સાહા જેવો ખેલાડી છે. તે એક સ્માર્ટ બેટ્સમેન છે. તે એક શાનદાર વિકેટકીપર પણ છે. પરંતુ પંતે નક્કી કરવું પડશે કે તે ટેસ્ટ ક્રિકેટમાં કેવી રીતે બેટિંગ કરવા માંગે છે. જો તેના મનમાં કોઈ શંકા હોય, તો તેને વિરામ આપવો વધુ સારું રહેશે. તે મેચ વિનિંગ ખેલાડી છે, પરંતુ તમે આવી બેટિંગ કરી શકતા નથી. તમારે ટીમ માટે બેટિંગ કરવાની છે, તમારા માટે નહીં.
ભારતે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી આ શ્રેણીની છેલ્લી મેચમાં પંતે અણનમ 89 રનની ઇનિંગ રમીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.
અગાઉ સિડની ટેસ્ટમાં પણ તેણે 97 રનની ઇનિંગ રમીને મેચ ડ્રો કરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ છેલ્લી 13 ઇનિંગ્સમાં આ બેટ્સમેનનું બેટ શાનદાર પ્રદર્શન કરી શક્યું નથી. તે માત્ર 250 રન જ બનાવી શક્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી છે. તે છેલ્લી સાત મેચમાં છ વખત ડબલ ફિગર સુધી પહોંચી શક્યો નહોતો.