દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા BCCI એ વિરાટ કોહલી (Virat Kohli) પાસેથી રોહિત શર્મા (Rohit Sharma) ને વનડે ફોર્મેટની કેપ્ટનશીપ આપી હતી. જોકે, ઈજાના કારણે રોહિત ODI શ્રેણીનો ભાગ નથી. વાઇસ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ભારતીય ટીમ બુધવારથી કેએલ રાહુલની કપ્તાનીમાં દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણીની શરૂઆત કરશે. ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો 1-2થી પરાજય થયો હતો. તેથી પાછા ફરવા માટે ખૂબ બેતાબ છે.
છેલ્લી વખત ટીમ ઈન્ડિયાએ વર્ષ 2018માં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાને આ જ મેદાન પર ODI શ્રેણીમાં 5-1થી હરાવ્યું હતું. રાહુલ પ્રથમ વખત ODI ફોર્મેટમાં ટીમનું સુકાન સંભાળી રહ્યો છે અને તે આ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માંગશે. રોહિતની ગેરહાજરીમાં રાહુલ માત્ર કેપ્ટનશિપ જ નહીં પરંતુ તેની જગ્યાએ ઓપનિંગ પણ કરશે.
કેએલ રાહુલે ODI ફોર્મેટમાં અલગ-અલગ બેટિંગ પોઝીશનમાં બેટિંગ કરી છે. છેલ્લા લગભગ બે વર્ષમાં તેણે મિડલ ઓર્ડરમાં ચોથા અને પાંચમા સ્થાને બેટિંગ કરી છે. આ દરમિયાન તેની એવરેજ 60 રહી છે. 2020-21 સીઝનમાં, તેણે છ મેચ રમી જેમાં તેની એવરેજ 54.00 હતી, જ્યારે તેની પાછલી સિઝનમાં તેણે 66.87ની એવરેજથી રન બનાવ્યા હતા. જો કે રોહિતની ગેરહાજરીમાં તે ધવન સાથે ઓપનિંગ કરશે.
પ્રથમ વન-ડે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં તેણે આ અંગે માહિતી આપતા કહ્યું કે, છેલ્લા 14-15 મહિનાથી ટીમની જરૂરિયાત મુજબ હું ચોથા અને પાંચમા સ્થાને બેટિંગ કરી રહ્યો છું. હવે રોહિત ત્યાં નથી, તો હું ઓપનિંગ કરીશ. તેણે આગળ કહ્યુ, હું એ પ્રકારનો ખેલાડી નથી જે વધારે લક્ષ્ય અને પ્લાન બનાવીને ચાલે છે. હું એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું આ રીતે ક્રિકેટ રમ્યો છું અને આ રીતે જ કેપ્ટનશીપ કરીશ.
સુકાનીપદ સંભાળવા વિશે વાત કરતા રાહુલે કહ્યું, “દેશનું નેતૃત્વ કરવું એ કોઈપણ ખેલાડીનું સ્વપ્ન હોય છે અને તે એવી વસ્તુ છે જેને તે લાંબા સમય સુધી જાળવી રાખશે.” હું પણ તેનો અપવાદ નથી. તેણે કહ્યુ આ એક રોમાંચક હશે પરંતુ હાલમાં વાસ્તવમાં આ અંગે વિચારી રહ્યો નથી પરંતુ જો આમ જ હશે તો સર્વશ્રેષ્ઠ ક્ષમતા સાથે ટીમ અને ભારતીય ક્રિકેટને આગળ વધારવાની કોશિષ કરીશ.
Published On - 6:14 pm, Tue, 18 January 22