T20 સિરીઝ પૂરી, હવે વનડેનો વારો છે. ટીમ ઈન્ડિયા (Team India) એ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પ્રથમ વન ડે મેચ લખનૌમાં રમાનારી છે. વન ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનુ સુકાન બદલાઈ ચુક્યુ છે. અનુભવી અને સ્ટાર ખેલાડીઓની પણ કમી વર્તાશે. કારણ કે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે પસંદ કરાયેલા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આવી સ્થિતિમાં ન તો રોહિત શર્મા હશે, ન વિરાટ, ન સૂર્યકુમાર અને અન્ય મોટા નામ. વનડે શ્રેણીમાં ભારતીય ટીમની કમાન શિખર ધવન (Shikhar Dhawan) ના હાથમાં હશે, જેના નેતૃત્વમાં કેટલાક એવા ચહેરા રમશે જેમના માટે આ શ્રેણી પોતાને સાબિત કરવાની મોટી તક હશે.
રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને આર. અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં, ભારતીય પસંદગીકારોએ નવી ટીમની જાહેરાત કરી, જેમાં મુકેશ કુમાર અને રજત પાટીદાર જેવા ઉભરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટી20 વર્લ્ડ કપના કેટલાક રિઝર્વ ખેલાડીઓને પણ આ ટીમમાં જગ્યા મળી છે. તમને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરે પ્રથમ વનડે રમાશે.
T20 વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ શ્રેયસ અય્યર ODI શ્રેણીમાં વાઇસ કેપ્ટન હશે. વિશ્વ કપ માટે રિઝર્વ યાદીમાં સામેલ જમણા હાથના ઝડપી બોલર દીપક ચહર અને લેગ સ્પિનર રવિ બિશ્નોઈ પણ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીનો ભાગ હશે.
રોહિત કે કેએલ રાહુલ બંનેમાંથી, શુભમન ગિલ શિખર ધવન સાથે ઓપનિંગ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ શ્રેણીમાં રાહુલ ત્રિપાઠી અને રજત પાટીદારને પણ મિડલ ઓર્ડરમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. મધ્યપ્રદેશના બેટ્સમેન પાટીદારને સ્થાનિક ક્રિકેટ, IPLમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શાનદાર પ્રદર્શન કરનાર આ બેટ્સમેને તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ચાર દિવસીય મેચમાં ભારત A નું પ્રતિનિધિત્વ કરતા બે સદી ફટકારી હતી. હવે તેની પાસેથી અહીં પણ કંઈક આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. તેમાં ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને ઈશાન કિશન પણ હશે, જેઓ ટીમને મજબૂત કરવાનું કામ કરશે. આ સિરીઝમાં સંજુ સેમસનનું પર્ફોર્મન્સ પણ ચર્ચામાં રહેશે.
જ્યાં સુધી ઝડપી બોલિંગની વાત છે તો આ જવાબદારી શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ અને અવેશ ખાન સંભાળશે. આ સિવાય ટીમ પાસે મુકેશ કુમારનો વિકલ્પ પણ હશે, જેણે બંગાળ માટે રેડ બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યુઝીલેન્ડ ‘A’ સામેની ફર્સ્ટ-ક્લાસ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર તરીકે ઉભરી આવ્યા બાદ મુકેશે 2019-20 રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્ર સામે ઈરાની કપ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
જો કે, ભારતીય ટીમને ઘરની પરિસ્થિતિમાં પણ કઠિન પડકારનો સામનો કરવો પડશે કારણ કે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ આવતા વર્ષના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે જરૂરી પોઈન્ટ માટે રમશે.
Published On - 10:48 pm, Wed, 5 October 22