ન્યુઝીલેન્ડ પ્રવાસે રહેલી ભારતીય ટીમ આજે શ્રેણીની અંતિમ વન ડે મેચ રમનાર છે. પ્રવાસમાં વરસાદે ચાહકો અને ખેલાડીઓની મજા બગાડી હતી. ભારત અને ન્યુઝીલેન્ડે વચ્ચે રમાઈ રહેલી વન ડે શ્રેણીની અંતિમ મેચનો ટોસ થઈ ચુક્યો છે અને કિવી ટીમના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનુ પસંદ કર્યુ છે. 1-0 થી સરસાઈ મેળવી ચુકેલ યજમાન ટીમે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. જ્યારે ભારતીય ટીમમાં સંજૂ સેમસનને અંતિમ વન ડેમાં પણ તક મળી શકી નથી.
ભારત માટે શ્રેણીમાં હારથી બચવા માટે અંતિમ વન ડેને જીતવા સાથે વરસાદનુ વિઘ્ન ના આવે એ પ્રાર્થના પણ જરુરી છે. ટોસ સમયે પ્લેઈંગ ઈલેવનની ઘોષણા કરતા સુકાનીએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ જ ફેરફાર નથી. જ્યારે ન્યુઝીલેન્ડ ની પ્લેઈંગ ઈલેનવનમાં એડમ મિલ્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ મિલ્નેના આગમન સાથે એક ફેરફાર કરવામાં આવ્યો હતો. આ માટે યજમાન ટીમના સુકાની વિલિયમસને કહ્યુ હતુ કે ઉછાળ વાળી પીચને લઈને બ્રેસવેલના સ્થાને મિલ્નેને બોલાવવામાં આવ્યો છે.
ભલે ક્રિકેટ પંડિતો ક્રાઈસ્ટચર્ચની પીચ પર પહેલા બેટિંગ કરવાની વાત કરતા હતા. પરંતુ ટોસ બાદ બંને કેપ્ટનનો અભિપ્રાય પ્રથમ બોલિંગ કરવાનો હતો. એટલે કે શિખર ધવનને પણ પહેલા બેટિંગ કરવાની ઈચ્છા નહોતી, પરંતુ આ પસંદગી ટોસ પર આધારીત હતી. એટલે જ ટોસ હારવા પર શિખર ધવને પણ કહ્યું કે જો તે ટોસ જીત્યો હોત તો તેણે વિલિયમસનની જેમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત.
આ મેદાન પર ભારતીય ટીમના માટે જીત મેળવવી આસાન નહીં હોય. કારણ કે ક્રાઈસ્ટચર્ચમાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો નથી રહ્યો. ભારતીય ટીમ 6 મેચો આ મેદાન પર રમી ચુક્યુ છે. જેમાં ભારતે માત્ર એક જ વાર જીત મેળવી છે. જોકે હાલ તો ભારતીય ટીમે શ્રેણીની બરાબર પર રોકવા માટે દમ લગાવવો પડશે અને રેકોર્ડને પણ સુધારવો પડશે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ
ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન
Published On - 7:45 am, Wed, 30 November 22