
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમાઈ રહી હતી. મેચનુ પરિણામ ત્રીજા દીવસે આવી ગયુ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઈનીંગ અને 132 રનથી મોટી હાર આપી હતી. સિરીઝનુ મહત્વ પહેલાથી જ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈ વધારે છે. આ દરમિયાન ભારતીય ટીમની જીત સાથે જ ફાઈનલમાં પહોંચવાની આશા વધારે મજબૂત બની ગઈ છે. ભારતે પ્રથમ મેચ જીતી લેતા જ હવે પોઈન્ટ ટેબલમાંના પર્સેન્ટેજમાં વધારો નોંધાયો છે.
ટીમ ઈન્ડિયાએ સિરીઝની 4માંથી 3 ટેસ્ટ મેચોમાં જીત મેળવવી જરુરી છે. ભારતે હવે આ જ માર્ગ પર આગળ વધી રહ્યુ છે. હવે ભારતીય ટીમે બાકી રહેલી 3 પૈકી 2 ટેસ્ટ મેચને પોતાના નામે કરવાથી ફાઈનલની ટિકીટ કપાઈ જશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી નાગપુર ટેસ્ટના પરિણામ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતીમાં ફેરફાર નથી આવ્યો. ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી ટોચ પર જ છે. જ્યારે ભારત બીજા સ્થાન પર છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટેના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાના પર્સેન્ટેજ નાગપુરમાં હાર સાથે ઘટી ગયા છે. ઓસ્ટ્રેલિયાના પર્સ્ટેન્ટેજ હવે 70.83 થયો છે. જે આ મેચ પહેલા 75.56 હતા. જોકે પોઈન્ટ 136 જ રહ્યા છે.
બીજી તરફ ભારતીય ટીમ પણ બીજા સ્થાન પર રહેતા પર્સેન્ટેજમાં ફાયદો થયો છે. આ મેચ પહેલા ભારતના પર્સેન્ટેજ 58.93 હતા જે મેચ બાદ 61.67 પર્સેન્ટેજ થયા છે. મેચ પહેલા ભારતના પોઈન્ટ 99 હતા જે હવે નાગપુર ટેસ્ટ બાદ 111 પોઈન્ટ થયા છે. હવે ભારતની નજર બાકીની ત્રણ મેચોમાં જીત હાંસલ કરવા પર રહેશે.
નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે એકતરફી રમત બતાવી હતી. પ્રથમ બોલિંગ કરતા ભારતે મુલાકાતી ટીમને 177 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જાડેજાએ પાંચ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. આ પછી ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 400 રન પૂરા કર્યા. યજમાન ટીમ તરફથી રોહિત શર્માએ 120 રન બનાવ્યા હતા. જાડેજાએ 70 રનની ઇનિંગ રમી હતી.
આ પછી અક્ષર પટેલે 84 રન બનાવ્યા હતા. ભારતે બીજા દાવમાં 223 રનની લીડ મેળવી હતી. તેની સામે ઓસ્ટ્રેલિયા બે કલાક અને 10 મિનિટમાં તૂટી પડ્યું. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જાડેજાને તેની શાનદાર રમત માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Published On - 6:11 pm, Sat, 11 February 23