
એક સમયે કરેલી ભૂલનું પુનરાવર્તન બેદરકારી અને બેજવાબદારીભર્યું ગણાય છે. રમતમાં આવી બેદરકારી માટે બિલકુલ અવકાશ નથી કારણ કે કોઈપણ રમતનો પાયો તેની શિસ્ત હોય છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર હાલમાં બીજી કેટેગરીમાં હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં તેની ભૂલ હવે બેદરકારી દેખાઈ રહી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીતે કંઈક એવું કર્યું જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.
લગભગ 10 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમ પોતાની ધરતી પર ટેસ્ટ મેચ રમવા આવી હતી. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુરુવારે 14મી ડિસેમ્બરથી શરૂ થયેલી આ એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડ સામે ઘણા રન બનાવ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા સિવાય અન્ય તમામ બેટ્સમેનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 49 રનની ઈનિંગ રમી હતી.
Harmanpreet Kaur was at the receiving end of a bizarre run-out on Day 1 of the solitary Test against England.https://t.co/nQwh56PVXU
— Circle of Cricket (@circleofcricket) December 14, 2023
ભારતીય કેપ્ટન હરમનપ્રીત મોટી ઈનિંગ રમી શકી હોત પરંતુ એવું થયું નહીં અને આ માટે તે પોતે જ જવાબદાર છે. હરમનપ્રીતે સ્પિનર ચાર્લી ડીનના બોલને ઓફ સાઈડ પર રમી રન લેવા ક્રિઝની બહાર આવી પરંતુ ફિલ્ડરને જોઈને પાછી ફરી. હવે અહીંથી જ તેની બેદરકારી સામે આવી. ઈંગ્લેન્ડના ફિલ્ડર ડેની વ્યાટે તરત જ બોલ બેટ્સમેન તરફ ફેંક્યો. હરમનપ્રીત અહીં થોડી સુસ્ત દેખાતી હતી અને તે ઝડપથી બેટ મૂકી શકતી નહોતી. તેનું બેટ ક્રિઝની બહાર રહ્યું અને બોલ સીધો સ્ટમ્પ સાથે અથડાયો. 49ના સ્કોર પર રનઆઉટ થતાં હરમનપ્રીતે પરત ફરવું પડ્યું હતું.
હવે કોઈ પણ બેટ્સમેન આવી ભૂલ કરી શકે છે પરંતુ હરમનપ્રીત કૌરના મામલામાં સવાલો ઉઠી રહ્યા છે કારણ કે તે પહેલા પણ આ વર્ષે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં આ રીતે જ આઉટ થઈ ગઈ હતી. ફેબ્રુઆરી 2023માં આયોજિત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હરમનપ્રીત ઓસ્ટ્રેલિયા સામે આવી જ લાપરવાહીના કારણે રનઆઉટ થઈ ગઈ હતી. ત્યારે પણ તેણે ક્રિઝ પર પહોંચવાની ઉતાવળ ન બતાવી અને તેનું બેટ ક્રિઝની બહાર ફસાઈ ગયું. ત્યાંથી મેચ ભારતીય ટીમના હાથમાંથી નીકળી ગઈ હતી.
આ પણ વાંચો: વિરાટ કોહલીને પાછળ છોડી આ મામલે સૂર્યકુમાર યાદવ બન્યો T20નો બીજો ભારતીય બેટ્સમેન