ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) નું વર્તમાન ફોર્મ કંઈ ખાસ રહ્યું નથી. તાજેતરના ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ વિરાટ કોહલી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી મર્યાદિત ઓવરોની શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. હવે કોહલી આવતા મહિને એશિયા કપ અથવા ઝિમ્બાબ્વે પ્રવાસ દ્વારા મેદાનમાં પરત ફરે તેવી શક્યતા છે.
હવે વિરાટ કોહલી (Virat Kohli) ના ખરાબ ફોર્મને લઈને ભારતીય મહિલા ટીમની પૂર્વ સુકાની અંજુમ ચોપરા (Anjum Chopra) નું નિવેદન સામે આવ્યું છે. અંજુમ ચોપરાનું માનવું છે કે 33 વર્ષીય ખેલાડી ફરીથી ફોર્મ મેળવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યો છે. અંજુમ ચોપરાએ કહ્યું કે વિરાટ કોહલી જાણે છે કે ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે તેણે શું કરવું પડશે અને તે નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યો છે.
અંજુમ ચોપરાએ એક ન્યૂઝ એજન્સીને સાથે વાત કરતા કહ્યું કે, ‘વિરાટ કોહલી (Virat Kohli) પોતે જાણે છે કે તે શું ઈચ્છે છે. જ્યારે તમે તમારા ધાર્યા પ્રમાણે સ્કોર નથી કરતા ત્યારે તમે વધુ પ્રેક્ટિસ કરો છો. મને ખાતરી છે કે તે પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ફોર્મમાં પાછા આવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે. જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ચાલી રહ્યું છે ત્યારે હાલ પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. એક ખેલાડી માત્ર પ્રયાસ કરી શકે છે. તેના જેવો ખેલાડી આ ખરાબ પેચમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ કેટલીકવાર વસ્તુઓ તમારા અનુસાર નથી થતી.
અંજુમ ચોપરા (Anjum Chopra) એ કહ્યું કે, તેણે ઓછા રન બનાવીને ભારતીય ટીમમાં ખેલાડીઓને પોતાનું સ્થાન જાળવી રાખતા જોયા છે. બીજી તરફ કોહલીની વાત કરવામાં આવે તો તે તેના માટેના ઉચ્ચ ધોરણોને કારણે ખરાબ લાગે છે. તેણે એમ પણ કહ્યું કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ટૂંક સમયમાં મોટો સ્કોર બનાવવાનું શરૂ કરશે.
અંજુમ ચોપરાએ કહ્યું, મેં ખેલાડીઓને 30 અને 40 રન બનાવતા અને ભારતીય ટીમમાં વર્ષોથી રમતા જોયા છે. પરંતુ તેના બેટમાંથી 30 અને 40 રન ઓછા લાગે છે. કારણ કે તેણે પોતાના માટે એક ધોરણ નક્કી કર્યું છે. મને ખાતરી છે કે તે (વિરાટ કોહલી) બહુ જલ્દી ભારતીય ટીમ માટે મોટા રન બનાવવાનું શરૂ કરી દેશે.
વિરાટ કોહલી ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન છ ઇનિંગ્સમાં માત્ર 76 રન જ બનાવી શક્યો હતો. પ્રથમ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં કોહલીએ ભારતની પ્રથમ અને બીજી ઈનિંગ સહિત કુલ 31 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી તે T20 શ્રેણીની બે મેચમાં 1 અને 11 રન જ બનાવી શક્યો. કોહલી પાસેથી વનડે શ્રેણીમાં સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ તેમાં પણ કોહલીનું બેટ બોલ્યું નહીં.