ઇંગ્લેન્ડ ટીમ (England Cricket) ના ભૂતપૂર્વ સુકાની નાસિર હુસૈન (Nasser Hussain) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમની ટીકા કરી છે અને તેને “ખેલાડીઓ માટે ખૂબ જ થકવી નાખનારું” ગણાવ્યું છે. 2019 માં ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ ટાઇટલમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે (Ben Stokes) વનડેમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી હુસૈનની પ્રતિક્રિયા આવી હતી.
ટેસ્ટ ટીમના 31 વર્ષીય સુકાની બેન સ્ટોક્સે વન-ડે (ODI Cricket) માંથી નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું કે, તેના માટે ત્રણેય ફોર્મેટમાં રમવું શક્ય નથી. તે નિરાશાજનક છે. નાસિર હુસૈને ‘સ્કાય સ્પોર્ટ્સ’ માટે તેની કોલમમાં બેન સ્ટોક્સનો ઉલ્લેખ કરતા લખ્યું કે, આનાથી ખ્યાલ આવે છે કે અત્યારે ક્રિકેટનું શેડ્યૂલ કેવું છે. આ ખેલાડીઓ માટે થકવી નાખનારું છે.
તેણે વધુમાં કહ્યું કે, “જો ICC તેનો ક્રિકેટ કાર્યક્રમ બનાવે છે અને બાકીના સમયમાં વિવિધ ક્રિકેટ બોર્ડ તેમની ટુર્નામેન્ટનું આયોજન કરે છે તો ખેલાડીઓ લાંબા સમય સુધી રમી શકશે નહીં.” તેણે કહ્યું, “બેન સ્ટોક્સે માત્ર 31 વર્ષની ઉંમરે ફોર્મેટને અલવિદા કહ્યું. તે ખરેખર યોગ્ય ન કહેવયા. ક્રિકેટના કાર્યક્રમ પર નજર રાખવાની જરૂર છે. તે અત્યારે એક પ્રકારની મજાક છે.”
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પુર્વ સુકાની નાસિર હુસૈન (Nasser Hussain) એ કહ્યું, “તેની નિવૃત્તિ વિશે સાંભળવું મારા માટે આશ્ચર્યજનક હતું. તેણે 2019માં ટીમને સૌથી મોટી સફળતા અપાવી હતી. જો તમે મને આ ટીમમાંથી એક ખેલાડીને પસંદ કરવાનું કહો તો બેન સ્ટોક્સ સૌથી મોટો મેચ વિનર છે.”
જોકે બેન સ્ટોક્સ (Ben Stokes) 2019 વર્લ્ડ કપ (World Cup 2019) પછી માત્ર નવ વનડે રમ્યો છે. ઈજા, માનસિક સ્વાસ્થ્ય વિરામ અને વર્કલોડ મેનેજમેન્ટના કારણે તે લાંબા સમય સુધી ટીમની બહાર હતો. ઈંગ્લેન્ડના અન્ય પૂર્વ સુકાની માઈકલ વોને કહ્યું કે, ખેલાડીઓનો બોજ ઓછો કરવા માટે ટીમોએ દ્વિપક્ષીય શ્રેણીમાં ઘટાડો કરવો પડશે. તેણે કહ્યું, જો વિશ્વભરના ક્રિકેટ બોર્ડ તેમની લીગ ક્રિકેટનું આયોજન કરે તો દ્વિપક્ષીય વનડે અને ટી-20 શ્રેણીને ખતમ કરવી પડશે.