આ વર્ષે સપ્ટેમ્બરમાં ક્રિકેટ એશિયા કપ 2023નું આયોજન થવાનું છે. એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાને કરી હતી. પરંતુ હવે અહીં ટુર્નામેન્ટ યોજવી મુશ્કેલ લાગે છે. હાલની સ્થિતિને જોતા એશિયા કપને પાકિસ્તાનથી અન્યત્ર ખસેડીને રમાડવામાં આવશે. ભારતીય ટીમે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જવા સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ હવે એશિયા કપનું આયોજન નવા સ્થળે કરવામાં આવશે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ હવે એશિયા કપ 2023ને લઈને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. શાહિદ આફ્રિદીએ સામ ટીવી સાથે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાને કોઈપણ નિર્ણય લેતા પહેલા ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. ભાવનાત્મક બનીને ક્રિકેટના નિર્ણયો ના લઈ શકાય. જો પાકિસ્તાન ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરવા માંગે છે તો તે શક્ય નથી.
શાહિદ આફ્રિદીએ કહ્યું કે, એશિયા કપ વિવાદ પર નિર્ણય લેતા પહેલા પાકિસ્તાને તેની અર્થવ્યવસ્થા અને ક્રિકેટ જગતમાં તેની સ્થિતિ પર એક નજર નાખવી જોઈએ. જો ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તેણે એ વિચારીને વર્લ્ડ કપનો બહિષ્કાર ના કરવો જોઈએ. જ્યારે તમે તમારા પગ પર ઉભા નથી રહી શકતા ત્યારે આવું થાય છે. તમારે સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. જો ભારત તમને આંખો દેખાડી રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે ભારતે પોતાને તે માટે સક્ષમ બનાવ્યું છે.
શાહિદ આફ્રિદીએ વધુમાં કહ્યું કે મને ખબર નથી કે શું ભારત એશિયા કપ માટે પાકિસ્તાન આવશે ? શું આપણે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું ? આપણે કેટલાક મુદ્દાઓ પર નિર્ણય લેવાની જરૂર છે. અત્યારે પાકિસ્તાનનું PCB હોય કે ICC. BCCIને કોઈ પણ પ્રકારે કોઈ નુકસાન પહોંચાડી શકે તેમ નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે.