પીએમ મોદીના વિસ્તરણ કરાયેલા મંત્રીમંડળમાં બંગાળના સાંસદ શાંતનુ ઠાકુર, ડો. સુભાષ સરકાર, જ્હોન બારલા અને નિશિથ પ્રમાણિક(Nisith Pramanik) માંથી બેને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા છે. નિશિથ પ્રમાણિક મોદી મંત્રીમંડળ( Modi Cabinet )માં શામેલ થનારા સૌથી યુવા નેતા છે. તેમની ઉંમર માત્ર 35 વર્ષની છે.
નિશિથ પ્રમાનિક વર્ષ 2019 માં બંગાળની કૂચ બિહાર બેઠક પરથી સાંસદ ચૂંટાયા અને પ્રથમ વખત ભાજપના સાંસદ બન્યા છે. આ પૂર્વે તે ટીએમસીમાં હતા અને ચૂંટણી પહેલા જ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા. નિશિથ પ્રમાનિક પ્રાથમિક શાળાના શિક્ષક હતા અને બીસીએની ડિગ્રી ધરાવે છે.
#CabinetExpansion2021: Nisith Pramanik, takes oath as minister #CabinetReshuffle #CabinetExpansion #TV9News pic.twitter.com/Avw7eyLayV
— tv9gujarati (@tv9gujarati) July 7, 2021
દીનહાટા વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો
ભાજપ સાંસદ રહીને આ વખતે તેમને બંગાળની દીનહાટા(Dinhata)બેઠક પરથી લડ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિજયી પણ રહ્યા હતા, પરંતુ પક્ષના નેતૃત્વની સૂચના બાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. નિશીથ પ્રમાણિકનો રાજવંશી સમુદાય પર મોટો પ્રભાવ છે. તે પોતે પણ રાજવંશી સમુદાયમાંથી આવે છે. ઉત્તર બંગાળમાં ભાજપના વિસ્તરણ પાછળ નિશિથ પ્રમાણિકનું ઘણું યોગદાન માનવામાં આવે છે.
ટીએમસીના યુવા નેતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી
તૃણમૂલ કોંગ્રેસના યુવા નેતા તરીકે માત્ર 35 વર્ષના નિશિથ પ્રમાનીકે રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. જો કે, બંગાળમાં 2018 માં થયેલી પંચાયતની ચૂંટણીમાં, તેમણે ટીએમસી વિરુદ્ધ 300 જેટલા સ્વતંત્ર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી ઘણા પણ જીત્યા હતા. આ પછી તે ફેબ્રુઆરી 2019 માં ભાજપમાં જોડાયા હતા અને તે જ વર્ષે પાર્ટીએ તેમને કૂચ બિહાર બેઠક પરથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી. કૂચ બિહાર એવી જ એક બેઠક હતી જ્યાં 2016 ની પેટા ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવાર જીત્યા હતા.
બંગાળથી બે મંત્રીઓએ રાજીનામાં આપ્યા
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બાબુલ સુપ્રિયો અને દેવશ્રી ચૌધરી બંગાળના રાજ્ય પ્રધાન હતા. બાબુલ સુપ્રિયો આસનસોલના સાંસદ છે અને કેન્દ્રીય મંત્રી મંડળમાં ભારે ઉદ્યોગ અને જાહેર ઉદ્યોગોના રાજ્ય પ્રધાન હતા. જ્યારે દેબશ્રી ચૌધરી રાયગંજથી ભાજપના સાંસદ છે અને હાલમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી હતા. પરંતુ બંનેએ મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે રાજીનામું આપી દીધું છે.