સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને કોંગ્રેસ ઉમેદવારને પસંદ કરવા માટે મથામણમાં છે. ત્યારે કૉંગ્રેસ માટે સાબરકાંઠા બેઠકના ઉમેદવારને પસંદ કરવાને લઈ વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. અરવલ્લી જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ સંજય ઠાકોરે કૉંગ્રેસ દ્વારા સાબરકાંઠા લોકસભા ઉમેદવારની પસંદગીમાં ઠાકોર સેનાને વિશ્વાસમાં લીધા ન હોવાનો આક્ષેપ કર્યો છે.
અરવલ્લી ઠાકોર સેના પ્રમુખ સંજય ઠાકોરે જણાવ્યું કે સાબરકાંઠા લોકસભા બેઠક પર ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેથી ઠાકોર સેનાને વિશ્વાસમાં લઇને જ કૉંગ્રેસની ટિકિટ જાહેર કરવી જોઈએ અને જો ઠાકોર સમાજને ન્યાય નહીં મળે તો કૉંગ્રેસ પાર્ટીએ તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
ત્યારે બીજી તરફ ઠાકોર સેનાની ચિમકીને લઇને સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો વ્યાપ્યો છે. જો ઠાકોર સમાજની નારાજગી પેદા થાય તો કોંગ્રેસને પણ મુશ્કેલીનો સામનો પડી શકે છે. કારણ કે સાબરકાંઠા લોકસભા બેઠકમાં 5.42 લાખથી વધુ ઠાકોર સમાજના મતદારોનું સમીકરણ ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષ માટે મહત્વનું છે અને એટલે જ ભાજપે પણ ઉમેદવારને રીપીટ કરવા માટે આ વાતનું ચોકસાઇપુર્વક ધ્યાન રાખ્યુ હોવાનુ મનાય છે.
હવે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા બાદ કૉંગ્રેસનો વારો ઉમેદવાર જાહેર કરવાનો છે ત્યારે કૉંગ્રેસે પણ એટલી જ ચોકસાઇથી ઉમેદવાર જાહેર કરવો પડશે. અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી સિદ્ધાંતોને વરેલી છે અને હાઈ કમાન્ડ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરતી હોય છે જેથી કોઈ સામાજિક સંગઠન કે અન્ય કોઈને ક્યાંય પણ અસંતોષ થાય નહી.
કૉંગ્રેસ માટે ઠાકોર સમાજની ખુલીને સામે આવેલી ચિમકી સ્વરુપની રજુઆત હવે કોંગ્રેસ માટે મુંઝવણ વધારી શકે છે અને આના પડઘા દિલ્હીમાં પણ ઉમેદવારી નક્કી કરી રહેલી સમિતી સુધી પહોંચી શકે છે કારણ કે સ્થાનિક કૉંગ્રેસના નેતાઓ પણ હાલ દિલ્હીમાં ધામા નાંખીને બેઠા છે.