શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યું અમિત શાહ સાથેની બેઠકનું કારણ, દિલ્હીમાં મુલાકાત, મહારાષ્ટ્રમાં ખળભળાટ

NCP પ્રમુખ શરદ પવાર અને અમિત શાહની મુલાકાત મંગળવારે થઇ. આ મુલાકાત બાદ રાજનૈતિક અટકળોએ જોર પકડ્યું. શરદ પવારે ટ્વીટ કરીને આ બેઠક વિશે માહિતી પણ આપી હતી.

શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યું અમિત શાહ સાથેની બેઠકનું કારણ, દિલ્હીમાં મુલાકાત, મહારાષ્ટ્રમાં ખળભળાટ
Sharad Pawar met Amit Shah and then tweeted about the meeting
| Edited By: | Updated on: Aug 04, 2021 | 6:16 AM

NCP પ્રમુખ શરદ પવારે (NCP Chief Sharad Pawar) મંગળવારે દિલ્હીમાં દેશના ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકારી મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી. બેઠક બાદ શરદ પવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગેની માહિતી પણ આપી હતી. શરદ પવારે આ બેઠક કઈ વાતને લઈને કરવામાં આવી, તેનો ઉલ્લેખ પોતાના ટ્વીટમાં કર્યો છે. બેઠકમાં શરદ પવાર સાથે એનસીપીના નેતા સુનીલ તટકરે પણ હાજર હતા.

ભલે શરદ પવારે પોતાના ટ્વીટમાં (Sharad Pawar Tweet) આ વિશે માહિતી આપી હોય. પણ જેઓ વર્ષોથી શરદ પવારની દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે તેવા લોકોને ખ્યાલ છે કે શરદ પવાર જે કહે છે, તે ક્યારેય કરતા નથી. અને જે વસ્તુ તેમણે ના કહી હોય એવી જ કોઈ ઘટના આગળ જઈને થતી જોવા મળે છે. શરદ પવારની રાજનીતિની સૌથી મોટી વિશેષતા જ છે આ અનપ્રેડિક્ટિબિલિટી. તેથી જ સ્વાભાવિક છે કે શરદ પવારની અમિત શાહ સાથેની મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે.

સામાજિક કાર્યકર્તા અંજલી દમાનિયાએ આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, “NCP અને BJP એકબીજાની નજીક આવી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી. જે રીતે કોઈ લશ્કર હુમલો કરવા અથવા પાછું વળવા માટે પહેલાં કવર ફાયર આપે છે, તેવું જ આજે (મંગળવારે) આપણે જોયું. નવાબ મલિકની પ્રેસ કોન્ફરન્સ માત્ર શરદ પવાર અને અમિત શાહની બેઠકને કવર કરવા માટે હતી. કદાચ ઠાકરેને એ બતાવવા માટે હતું કે અમે ભાજપ વિરોધી છીએ.

શરદ પવારે ટ્વિટ કરીને માહિતી આપી

શરદ પવારે ટ્વીટ કરીને બેઠક અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું, “સૌ પ્રથમ હું અમિત શાહને દેશના પ્રથમ સહકારી મંત્રી બનવા બદલ અભિનંદન આપું છું. આ બેઠકમાં, અમે દેશમાં ખાંડ ઉદ્યોગની સ્થિતિ અને ખાંડના વધુ ઉત્પાદનને લગતી સમસ્યાઓ પર ચર્ચા કરી.

આ ટ્વીટની સાથે શરદ પવારે અમિત શાહને લખેલા તેમના પત્રની ડુપ્લિકેટ કોપી પણ શેર કરી હતી. શરદ પવારે પોતાની ટ્વીટમાં લખ્યું, “અમે ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા બે મહત્વના વિષયો પર અમિત શાહનું ધ્યાન દોર્યું. આ મુદ્દાઓમાં ખાંડ ઉદ્યોગના એમએસપી ભાવ અને ખાંડ ફેક્ટરીઓના પરિસરમાં ઇથેનોલ ઉત્પાદન એકમોની સ્થાપનાનો સમાવેશ થાય છે. અમને આશા છે કે સરકાર આ સમસ્યાઓને તાત્કાલિક દૂર કરશે અને સહકારી મંત્રને પૂર્ણ કરવા માટે પગલાં લેશે.”

 

આ પણ વાંચો: IND vs ENG: વિરાટ કોહલીએ કહ્યું બાયોબબલને કારણે ખેલાડીઓ થાકી જાય છે, બ્રેક વિના ગુણવત્તા જાળવવી મુશ્કેલ

આ પણ વાંચો: જાણવુ છે કોણે કોણે તમને WhatsApp પર કર્યા છે બ્લોક? તો વાંચો આ અહેવાલ