રાજ્યમાં RSS દ્વારા ઘર વાપસીનો કાર્યક્રમ યોજાવવાનો છે. ઘર વાપસી એટલે કે, રાજનીતિક નહીં પણ સામાજિક ઘરવાપસી થવાની છે. ભૂતકાળમાં હિન્દુમાંથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરનારાઓની ઘરવાપસીનો મોટો કાર્યક્રમ અમદાવાદામાં થવા જઇ રહ્યો છે. રાજપૂત એકતા સંમેલનના નામે RSSના સમર્થનથી આ કાર્યક્રમ થશે. અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર મોટા પાયે 15મી સપ્ટેમ્બર યોજાશે, RSSના રાષ્ટ્રિય નેતાઓ પણ હાજરી આપશે.
રાજપૂત સમાજની એકતાના નામે 15મી સપ્ટેમ્બરે રિવરફ્રન્ટ પર કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યભરમાંથી રાજવીઓને પણ બોલાવાયા છે. આ સાથે RSSના સહ સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલની ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય તો વિવિધ પ્રકારના રાજપૂતોને એક કરવું છે. પણ તેમાં ભૂતકાળમાં જે રાજપૂતો હિન્દુ હોય અને પછી તેઓ કોઇ કારણવશ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો હોય તો તેમને ફરીથી મુખ્યપ્રવાહમાં જોડવાનો હેતુ છે. આવા રાજપૂતોને ગુજરાતમાં મોહરે સલામ રાજપૂતો કહેવાય છે.
રાજપૂત એકતા સમિતિના પ્રમુખ નરેન્દ્ર સિસોદીયાના મત પ્રમાણે તો, ઇસ્લામ શાસન દરમિયાન મોટા પ્રમાણમાં ધર્માંતરણની પ્રવુતિઓ થઈ હતી. એ દરમિયાન અનેક રાજપૂત પરિવારો એ ઇસ્લામ અંગીકાર કર્યો હતો. પણ આ રાજપૂત પરિવારોએ પોતાની હિન્દૂ પૂજા પદ્ધતિ જાળવી રાખી હતી. ત્યારે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ પ્રાંત સમિતિ દ્વારા ઇસ્લામની સાથે હિન્દુ ધર્મ અને રીતિ રિવાજોમાં આસ્થા ધરાવનાર રાજપૂતોનો સર્વે થયો હતો. એ દરમિયાન ગુજરાતમાં 450 જેટલા ગામોમાં 8 લાખથી વધુ રાજપૂતો વસતા હોવાનું બહાર આવ્યું. જેઓને અહીંની ભાષામાં મોહરે સલામ કહેવાય છે. જે પૈકી છેલ્લા 10 વર્ષમાં 4 લાખ લોકોને મુખ્ય પ્રવાહમાં લાવી ચૂક્યા છે. તે સીવાય અન્ય લોકોને લાવવાનું કામગીરી થઇ રહી છે. પહેલા તો મુસ્લિમ રાજપુતો સાથે બોલચાલનો સબંધ નહોતો. પરંતુ હવે જમણવાર અને તહેવારોમાં એક બીજાને ત્યાં જવા-આવવાનું પ્રચલન વધ્યું છે.
આ સંમેલનના માધ્મયથી રાજ્યના તમામ રાજવીઓ એકત્ર થશે. આ સંમેલનમાં યુવરાજ સાહેબ કેસરીદેવસિંહજી, મહારાણા હર્ષવર્ધનસિંહજી, યુવરાજ રિદ્ધિરાજસિંહ, યુવરાજ યોગીરાસિંહજી, ગોપાલસિંહ વાઘેલા, સમરવિજયસિંહજી, માનસિંહ વાઘેલા, જયશિવસિંહ વાઘેલા, મહારાજ સહીત અનેક રાજવી પરિવારો ઉપસ્થિત રહેશે. જેમાં RSSનું પૂર્ણ સમર્થન છે. અને એટલા માટે જ કૃષ્ણ ગોપાલની હાજરી મહત્વપૂર્ણ રહેશે.
RSS વર્ષોથી દેશભરમાં જે લોકો હિન્દુ ઘર્મ છોડીને લાલચ, મજબૂરી અથવા તો જેમણે ભયના કારણે અન્ય ધર્મ અંગીકાર કર્યો તેનું શુદ્ધીકરણ કરવા તરફ કામ કરે છે. જેમાં SC અને ST સમાજ માટે આ કાર્ય દેશભરમાંથી લઈ ગુજરાતમાં પણ આ અભિયાન ચાલુ છે. ઘર વાપસીના કાર્યક્રમ દ્વારા હિન્દુ વોટ બેંકને એક કરવાનો ઉદ્દેશ્ય પણ હોઈ શકે છે. ભૂતકાળમાં રાજ્યમાં ક્યાંક પાટીદાર આદોલન, તો દલિત આદોલનના કારણે હિન્દુત્વના કોન્સેપ્ટ તુટ્યો છે. ત્યારે આ કાર્યક્રમ થકી રાજપૂતો પ્રથમ વખત અમદાવાદમાં RSSના માર્ગદર્શન હેઠળ એકમંચ પર જોવા મળશે તેમ સંધના પૂર્વ સદસ્ય દક્ષેશ મહેતાનું માનવું છે.
રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીની માનીએ તો, રાજકીય દૃષ્ટિએ પણ રાજપૂતોનો આ રાજકીય શક્તિપ્રદર્શનથી કમ નથી. કારણ કે, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભાજપ હોય કે કોગ્રેસ તેમાં પાટીદારોનો વર્ચસ્વ જોવા મળ્યું છે. સરકારમાં પણ દરબારો કરતા પાટીદાર નેતાઓની સંખ્યા સવિષેશ છે. સાથે ભવિષ્યની રાજપૂત નેતાગીરીમાં પણ શુન્યાવકાશ છે. હાલ તો ભાજપમાં પણ આગણીના ટેરવે ગણી શકાય તેટલા દરબાર (રાજપૂત) નેતાઓ છે. ત્યારે આ સંમેલનના માધ્યમથી સીધો સંદેશ પણ પક્ષોને રાજપૂતો આપવા માંગશે.
Published On - 10:27 am, Sun, 8 September 19