સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે બેઠકમાં 33 પક્ષોના 40 થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતાં કહ્યું કે સકારાત્મક ચર્ચા માટે સરકાર તૈયાર છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે સંસદમાં લોકોપયોગી અને અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ. સંસદીય નિયમો અને કાર્યવાહી અનુસાર કોઈપણ બાબતે સરકાર ચર્ચા કરવા તૈયાર છે.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના ગૃહના નેતા પિયુષ ગોયલ હાજર હતા. રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ટીએમસીના ડેરેક ઓ બ્રાયન, ડીએમકેના તિરુચિ શિવા, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ અને બસપાના સતિષ મિશ્રા સહિત તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પણ હાજર રહ્યા હતા. અપના દળના નેતા અને એનડીએના સાથી અનુપ્રિયા પટેલ અને એલજેપી નેતા પશુપતિ પારસ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે વિરોધ પક્ષોએ ભેગા થઈને કેન્દ્ર સરકારને જવાબદાર બનાવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, “ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતો પ્રત્યે સરકારની ઉદાસીનતા ખૂબ જ દુઃખદ છે.” માયાવતીએ કહ્યું કે બસપાના સાંસદ સંસદમાં ઈંધણ અને રાંધણ ગેસના ભાવ, ફુગાવા અને કોવિડ -19 રસીકરણ સંબંધિત બાબતના મુદ્દા ઉઠાવશે. તેમણે કહ્યું, ‘મેં મારા પક્ષના સાંસદોને સંસદના ચોમાસા સત્રમાં દેશ અને લોકોના ફાયદા સંબંધિત બાબતો હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.’