Gujctoc: ગુજરાતમાંથી ગુંડાઓ ગુનાખોરી છોડે અથવા તો ગુજરાત છોડે તેવી વાતો વચ્ચે ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્યાય બનેલો ગુજસીટોક(Gujctoc) આરોપી નિખિલ દોંગા કેસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપી ભાજપના મોટા ગજાના નેતા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવાની ફિરાકમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસને રજુ કરેલા સોગંદનામામાં થયો ખુલાસો
ગુજસીટોક આરોપી નિખિલ દોંગાએ પૂર્વ ધારાસભ્યની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે, જયરાજસિંહ જાડેજાની હત્યા માટે નિખિલ દોંગા ભૂજ જેલમાંથી ફરાર થયો હોવાનું મનાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, નિખિલ દોંગાના પિતા વિરુદ્ધ ગોંડલ શહેરમાં ગુનો દાખલ કરાયો હતો. જે ગુનો જયરાજસિંહ જાડેજાએ નોંધાવ્યો હોવાનું માની નિખિંલ દોંગાએ આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ સમગ્ર મામલો જામીન અરજી વેળાએ પોલીસને રજૂ કરેલા સોગંદનામામાં ઘટસ્ફોટ થયો હતો.
મહત્વનું છે કે,કચ્છ જિલ્લાની પોલીસની પકડમાંથી ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ફરાર થઈ ગયો હતો જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા, રાજકોટ જેલમાં નિખિલ દોંગાની તબિયત લથડતા તેને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો પરતું તકનો લાભ લઈને નિખિલ ફરાર થઈ ગયો હતો.
બનાવટી આધાર કાર્ડ બનાવનાર હજુ પણ ફરાર
નિખિલ દોંગાને બનાવટી આધારકાર્ડ બનાવી આપનાર રાજુ કોળી તેમજ ભાવેશ ખીલી જે બંને આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જો જામીન નામંજૂર કરવામાં આવશે તો આ બંનેને પકડવામાં મુશ્કેલી ઊભી થશે. મહત્વનું છે કે, આરોપી નિખિલ દોંગા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જામીન લીધા બાદ નાસી જશે તેવો ડર હોવાથી જામીન અરજી નામંજૂર કરવામાં આવે તેવી દલીલ સરકારી વકીલ તરફથી કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે, નિખિલ દોંગાની ધરપકડ બાદ તેના પર પાંચ ગુના નોંધાયા છે, જેમાં ગોંડલમાં એક કરોડની ઉઘરાણી તેમજ જેલમાંથી જ ધમકી આપવાના મામલે ગોંડલ પોલીસે નિખિલ દોંગા સહિત 16 લોકો સામે ફરિયાદ દાખલ કરી ગુનો નોંધ્યો હતો.