2022 ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ (Congress) પાર્ટી સતર્ક થતી જોવા મળી રહી છે. કોંગ્રેસની આગોતરી તૈયારીઓ જોઇને લાગી રહ્યું છે કે ચૂંટણી માટે હવે એડીચોટીનું જોર લગાવવા પાર્ટી તૈયાર થઇ રહી છે. સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતાઓની મુલાકાત લીધી. એજ સમયે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) ઉત્તરપ્રદેશના વરિષ્ઠ નેતાઓ સાથે ડીજીટલી વાતચીત કરી. આ ડીજીટલ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને રણનીતિ પર ચર્ચા થઇ.
ઉત્તર પ્રદેશ પર નજર
સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સલાહકાર સમિતિ અને વ્યૂહરચના ગ્રુપની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં મુખ્યત્વે ફુગાવો, કોરોના વાયરસ, પંચાયતની ચૂંટણીઓ, સંગઠન તાલીમ શિબિરો વિશે વાત કરવામાં આવી. પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) મીટિંગમાં કહ્યું, “વધતી મોંઘવારીથી જનતા પરેશાન છે. પેટ્રોલ-ડીઝલ, સરસવનું તેલ, ફળો અને શાકભાજીના ભાવ આસમાને છે. હરાયા ઢોરથી ખેડુતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખેડૂતોનો ખર્ચો બમણો થયો છે અને આવક ઘટી છે.
ભાજપ પર આરોપ
પ્રિયંકાએ UP ભાજપ (BJP) પર આરોપ લગાવતા કહ્યું કે, ‘“પંચાયતની ચૂંટણીઓમાં ખુલ્લી હિંસા થઈ હતી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા હિંસા, બોમ્બ, પથ્થર અને ગોળીઓ ચલાવવામાં આવી. યુપી કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને જંગલરાજની વિરુદ્ધ મજબુતીથી રસ્તાઓ પર ઉતરશે.
લખનૌ જશે પ્રિયંકા ગાંધી
મળેલી માહિતી પ્રમાણે હવે 14 જુલાઈએ પ્રિયંકા લખનૌ જઈ રહ્યા છે. સુત્રો અનુસાર ‘પ્રિયંકા ગાંધી ત્યાં 3-4 દિવસ રોકાશે, કોંગ્રેસના તમામ કમેટી સદસ્યો, જિલ્લા અને શહેર અધ્યક્ષોને મળશે. તેમજ ખેડૂત સંગઠનના નેતાઓ સાથે પણ બેઠક કરશે’
રાહુલની ઉત્તરાખંડમાં બેઠક
બીજી તરફ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી. સુત્રો અનુસાર તેમણે 10 નેતાઓ સાથે અલગ અલગ વાતચીત કરી. જેમાં CLP કોંગ્રેસ વિધાનસભા પક્ષ) નેતા કોણ બનશે, પીસીસી (રાજ્ય કોંગ્રેસ સમિતિ) માં શું ફેરફાર કરવા જોઈએ અને 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ કેવી રીતે જીતી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પંજાબ સરકારમાં નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન
આ તરફ વિધાનસભા પહેલા પંજાબમાં પણ બદલાવ થવાની સંભાવના છે. પંજાબ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા મુજબ, પાર્ટીએ પંજાબમાં વિન-વિન ફોર્મ્યુલા તૈયાર કર્યો છે અને સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારની ઔપચારિક જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પંજાબ સરકારમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
ગુજરાતના નેતાઓ સોનિયા ગાંધીને મળશે
ગુજરાતમાં પણ 2022માં (Gujarat Election 2022) ચૂંટણી યોજાશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને લખેલા પત્રના અનુસંધાને સોનિયા ગાંધીએ 14 જુલાઈએ મળવાનો સમય આપ્યો હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. કેટલાક નેતાઓ બારોબાર અન્ય સ્થળેથી તેમજ બીજા નેતાઓ આવતીકાલે દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો: Gujarat : ગુજરાત કોંગ્રેસમાં નવાજુની થવાના એંધાણ, 14 જુલાઈએ સોનિયા ગાંધીને મળશે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ