આસામ મિઝોરમ સરહદે અથડામણ, આસામના છ પોલીસ જવાનો શહીદ, બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો વચ્ચે ટ્વિટર વોર, કેન્દ્રિય ગૃહપ્રધાનને હસ્તક્ષેપ કરવા કરી અપીલ

|

Jul 26, 2021 | 9:33 PM

Assam Mizoram border clash: આસામ અને મિઝોરમ રાજ્ય વચ્ચેનો સરહદને લઈને વિવાદ બહુ જૂનો છે. બન્ને રાજ્યો વચ્ચે સરહદનો વિવાદ સમાપ્ત કરવા માટે 1995 પછી અનેકવાર વાતચીત થઈ છે પરંતુ તેનો કોઈ અર્થ નથી સર્યો.

આસામ મિઝોરમ સરહદે અથડામણ, આસામના છ પોલીસ જવાનો શહીદ, બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો વચ્ચે ટ્વિટર વોર, કેન્દ્રિય ગૃહપ્રધાનને હસ્તક્ષેપ કરવા કરી અપીલ
આસામ મિઝોરમ સરહદે અથડામણ

Follow us on

આસામ પોલીસે જણાવ્યુ છે કે, મિઝોરમ સરહદ ઉપર કેટલાક અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારા અને ગોળીબારમાં આસામ પોલીસના છ જવાનો શહીદ થયા છે. આસામના મુખ્ય પ્રધાને ટ્વિટ દ્વારા જણાવ્યુ છે કે, મને આ વિગતો જણાવતા દુખ થાય છે કે આસામ પોલીસના છ બહાદુર જવાનો આસામ મિઝોરમ સરહદ ઉપર રાજ્ય સંવૈધાનિક સીમાની સુરક્ષા કરતા શહીદ થયા છે.

આસામ મિઝોરમ સરહદ ઉપર સોમવારે ફરીથી હિંસા થવા પામી છે. સરહદ ઉપર (Assam-Mizoram border) ઘર્ષણ અને વાહનોની તોડફોડ કરવામાં આવ્યા છે. આસામ અને મિઝોરમના મુખ્ય પ્રધાનોએ આ મામલે ટવીટ કરીને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહને દરમિયાનગીરી કરવા અપીલ કરી છે. બન્ને રાજ્યની સરહદ ઉપર થયેલ હિંસક અથડામણના વીડિયો સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો લાકડીઓ સાથે દેખાય છે. આ અથડામણે વર્ષોથી ચાલ્યા આવતા વિવાદને ફરી તાજો કર્યો છે.

મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથાંગાએ આ હિંસક અથડામણ અંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. જોરામથાંગાએ ટવીટ દ્વારા જણાવ્યુ છે કે, આવી ઘટનાઓને તાકીદે રોકવામાં આવે. અન્ય એક ટવીટમાં મિઝોરમના મુખ્ય પ્રધાન જણાવ્યુ છે કે, ચાહરના માર્ગેથી મિઝોરમ આવતા નિર્દોષ દંપતિ ઉપર ગુંડાઓએ હુમલો કર્યો છે અને તેમના વાહનમાં તોડફોડ કરી છે.

તો બીજી બાજુ આસામના મુખ્ય પ્રધાન હેંમત બિસ્વાએ પણ ટ્વિટ કરીને મિઝોરમના મુખ્યપ્રધાનને ફરીયાદ કરીને આ મામલે દરમિયાનગીરી કરવા અપીલ કરી છે. હેંમત બિસ્વાએ તેમના ટ્વિટમાં કહ્યુ છે કે, આદરણીય જોરામથાંગાજી, કોલાસિબ (મિઝોરમ) ના એસપી એ અમને અમારી પોસ્ટ ઉપરથી ત્યા સુધી પાછા જવા કહ્યુ છે કે જ્યા સુધી તેમના નાગરિકો તેમની વાત ના સાંભળે અને હિંસા ના અટકે. તમે જ કહો કે, આ સ્થિતિમાં અમે કેવી રીતે સરકાર ચલાવી શકીએ. મને વિશ્વાસ છે કે, તમે ઝડપથી આ મામલે દરમિયાનગીરી કરીને સ્થિતિ થાળે પાડશો.

આસામના મુખ્ય પ્રધાન હેંમત બિસ્વાના આ ટ્વિટનો મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથાંગાએ જવાબ આપતા આસામ પોલીસ પર સવાલ કર્યો છે. તેમણે લખ્યુ છે કે, પ્રિય હેંમતજી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મુખ્યપ્રધાનોની શુભેચ્છા મુલાકાત બાદ, આસામ પોલીસની બે કંપનીએ નાગરિકો પર લાઠીચાર્જ કર્યો. એટલુ જ નહી, આસામ પોલીસે નાગરિકો ઉપર ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. તેમણે મિઝોરમની સરહદમાં તહેનાત સીઆરપીએફના જવાનો અને મિઝોરમ પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આસામ અને મિઝોરમ રાજ્ય વચ્ચેનો સરહદને લઈને વિવાદ બહુ જૂનો છે. બન્ને રાજ્યો વચ્ચે સરહદનો વિવાદ સમાપ્ત કરવા માટે 1995 પછી અનેકવાર વાતચીત થઈ છે પરંતુ તેનો કોઈ અર્થ નથી સર્યો. મિઝોરમના ત્રણ જિલ્લા આઈજોલ, કોલાસિબ અને મમિત તેમજ આસામના ત્રણ જિલ્લા કછાર, કરીમગંજ અને હૈલાકાંડી એક બીજાથી જોડાયેલા છે. બન્ને રાજ્યોના આ જિલ્લાઓ એકબીજા સાથે આશરે 164.4 કિલોમીટર લાંબી સંયુક્ત સરહદ ધરાવે છે.

Published On - 8:06 pm, Mon, 26 July 21

Next Article