
ભરૂચનાં પીરકાંથી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ચૂંટણીમાં પ્રચાર અર્થે આવતા નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સ્થાનિકોએ બેનર લગાવી જ્યાં સુધી રોડ નહી બને ત્યાં સુધી પ્રચાર માટે નહી પ્રવેશવાના બેનર લગાવ્યા છે. ભરૂચના પીરકાંથી અને લાલવાડી વિસ્તારના રહીશોએ ચૂંટણીમાં પ્રચાર અર્થે આવતા નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
સ્થાનિક અગ્રણી અબ્દુલ લાકડાવાલાએ જણાવ્યું કે રોડ બનાવી થોડાજ સમયમાં ગટરનું કામ કર્યુ અને રોડ તોડી નાખ્યો પછી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. જેથી સ્થાનિકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં અહીંના લોકોની હાલત બદતર થવાની છે. આ વિસ્તારમાં વર્ષોથી માર્ગ અને ખુલ્લી ગટરની સમસ્યા છે. જેનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અને માર્ગના સમારકામની માંગ કરી છે.
બીજી તરફ ભરૂચના લિંકરોડ સ્થિત 4 સોસાયટીના 1400 લોકોએ વિસ્તારના પ્રવેશ દ્વાર ઉપર રાજકીય નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવી ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. અહીં પાણી, રસ્તા અને ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે.અહીંના રહીશ અમિત ગાંધી એ કહ્યું કે જ્યાં સુધી સમસ્યાઓનો હલ નહિ થાય ત્યાં સુધી તેઓ મત આપવા નહિ જાય અને નેતાઓને પણ વિનંતી કે મત માંગવા આવે નહિ.
નૈના પટેલ એ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે 4 સોસાયટીની આ સમસ્યા છે તમામ અધિકારીઓ અને પદાધિકારોને મળ્યા પણ અમારું કોઈજ સાંભળતું નથી માટે આ પગલું ભરવું પડ્યું છે. સમસ્યાઓથી ત્રસ્ત લોકો હવે રાજકારણીઓ માટે પ્રવેશ બંધ કરી અને ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 11:05 am, Sun, 31 March 19