TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Jan 09, 2023 | 12:01 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ 'MV ગંગા વિલાસ'ને ફ્લેગ ઓફ કરશે.
આ ક્રૂઝ વારાણસીમાં ગંગા નદી પર પ્રસિદ્ધ ગંગા આરતી સાથે તેની યાત્રા શરૂ કરશે. આ પ્રવાસમાં તેઓ પ્રસિદ્ધ બૌદ્ધ યાત્રાધામ સારનાથ, તંત્ર પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત માયોંગ અને નદીમાં બનેલા ટાપુ માજુલીની પણ મુલાકાત લેશે. ક્રૂઝની આ પ્રથમ સફરમાં સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ ભાગ લેશે.
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે એમવી ગંગા વિલાસના ઉદ્ઘાટન સાથે, ભારત નદી ક્રૂઝ મુસાફરીના વૈશ્વિક નકશાનો ભાગ બની જશે. તેમણે કહ્યું કે આનાથી દેશમાં નદી પર્યટન ક્ષેત્રે અપાર સંભાવનાઓના દ્વાર ખુલશે.
આ લાંબી યાત્રામાં MV ગંગા વિલાસ ક્રૂઝ પટના, સાહિબગંજ, કોલકાતા, ઢાકા અને ગુવાહાટી જેવા 50 પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. તેની યાત્રા 13 જાન્યુઆરીએ વારાણસીથી શરૂ થશે અને 1 માર્ચે તે તેના ગંતવ્ય સ્થાન ડિબ્રુગઢ પહોંચે તેવી શક્યતા છે.
હાલમાં દેશમાં વારાણસી અને કોલકાતા વચ્ચે આઠ રિવર ક્રૂઝ કાર્યરત છે. આ સિવાય બીજા રાષ્ટ્રીય જળમાર્ગ (બ્રહ્મપુત્રા નદી) પર ક્રુઝનો ટ્રાફિક ચાલુ રહે છે.
Published On - 11:57 pm, Sun, 8 January 23