
1972માં સ્ટોકહોમ ખાતે પર્યાવરણ પર યોજાયેલી પરિષદના પહેલા દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કર્યો હતો.

1973માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ સ્વિત્ઝર્લેન્ડમાં ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "ઓન્લી વન અર્થ" હતી. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને પર્યાવરણ અને તેના રક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો હતો.

વર્ષ 2026ના વિશ્વ પર્યાવરણ દિવસનું યજમાન અઝરબૈજાન દેશ કરશે. આ વર્ષની ઉજવણીનો મુખ્ય વિષય આબોહવા પરિવર્તન (Climate Change) પર છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2026 અંતર્ગત આબોહવા પરિવર્તન સામે અસરકારક પગલાં લેવા, પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને ટકાઉ ભવિષ્ય માટે વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

2018નું વિશ્વ પર્યાવરણ દિવસનું યજમાન ભારત દેશે કર્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "બીટ પ્લાસ્ટિક પોલ્યુશન" હતી. મુંબઈના વર્સોવા બીચ પર 6,000થી વધુ લોકોએ મળીને 90,000 કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક કચરો સાફ કર્યો હતો. ભારતે 2022 સુધી સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવાનો સંકલ્પ કર્યો હતો. જ્યારે યુરોપિયન યુનિયને 2025 સુધી આવો પ્રતિબંધ લાવવાની જાહેરાત કરી હતી.

2011માં પણ વિશ્વ પર્યાવરણ દિવસની યજમાની ભારતે કરી હતી. થીમ હતી ફોરેસ્ટ્સ: નેચર એટ યોર સર્વિસ. સમગ્ર વિશ્વમાં હજારો પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીચ સફાઈ અભિયાન, સંગીત કાર્યક્રમો, પ્રદર્શન, ફિલ્મ ફેસ્ટિવલ, સમુદાય કાર્યક્રમો, વૃક્ષારોપણ અને અન્ય અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને પૃથ્વીની સુરક્ષા માટે લોકોમાં જવાબદારીની ભાવના વિકસાવવા માટે ઉજવવામાં આવે છે.