
ઘણા લોકોને સીડી ચઢતી વખતે કે થોડું ઝડપથી ચાલતી વખતે શ્વાસ ફૂલવાની સમસ્યા થતી હોય છે. સામાન્ય રીતે લોકો તેને વધતી ઉંમર, વજન વધવું કે શારીરિક નબળાઈ માનીને છોડી દે છે. પરંતુ જો કોઈ કામ તમે પહેલા સરળતાથી કરી શકતા હતા અને હવે તે કરવામાં તમારો શ્વાસ ફૂલવા લાગ્યો છે, તો સાવધાન થઈ જવાની જરૂર છે. મેડિકલ એક્સપર્ટ્સના મતે, આ લક્ષણ હૃદય રોગ, ફેફસાની બીમારી, એનિમિયા (લોહીની ઉણપ) કે થાઈરોઈડ જેવી ગંભીર સમસ્યાઓનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે.

ખાસ કરીને મહિલાઓ, વડીલો અને ડાયાબિટીસના દર્દીઓમાં સીનામાં દુખાવો થયા પહેલા જ શ્વાસ ફૂલવાની સમસ્યા જોવા મળે છે, જે હાર્ટ ડિસીઝની શરૂઆત હોઈ શકે છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, મેદસ્વીપણું કે ધૂમ્રપાન કરનારા લોકોએ આ લક્ષણને બિલકુલ હળવાશથી ન લેવું જોઈએ.

આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો: જો શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે નીચે મુજબના લક્ષણો દેખાય, તો તરત જ ઈમરજન્સી મેડિકલ સહાય લેવી જોઈએ: છાતીમાં જકડન કે દુખાવો થવો, ચક્કર આવવા, હૃદયના ધબકારા અનિયમિત થવા, અચાનક ખૂબ પરસેવો વળવો, પગમાં સોજા આવવા...

સાચું કારણ જાણવા માટે કઈ તપાસ જરૂરી છે? ડૉક્ટરના જણાવ્યા અનુસાર, શ્વાસ ફૂલવાનું ચોક્કસ કારણ જાણવા માટે દર્દીની મેડિકલ હિસ્ટ્રી અને યોગ્ય ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માત્ર લક્ષણો જોઈને ઈલાજ કરવાના બદલે બીમારીના મૂળ સુધી પહોંચવું જરૂરી છે.

શરૂઆતના તબક્કે થતા સામાન્ય ટેસ્ટ: બ્લડ પ્રેશર (BP) ની તપાસ: બીપી કંટ્રોલમાં છે કે નહીં તે જાણવા માટે. સીબીસી (કોમ્પ્લીટ બ્લડ કાઉન્ટ): આ ટેસ્ટથી શરીરમાં લોહીની ઉણપ (એનિમિયા) કે કોઈ ઈન્ફેક્શન છે કે નહીં તેની ખબર પડે છે. અન્ય બ્લડ ટેસ્ટ: બ્લડ સુગર, થાઈરોઈડ પ્રોફાઈલ, કિડની અને લીવર ફંક્શન ટેસ્ટ. ચેસ્ટ એક્સ-રે અને ઈસીજી: ફેફસાની સ્થિતિ અને હૃદયના ધબકારાની લય તપાસવા માટે. જો હૃદય સંબંધિત કોઈ મોટી આશંકા હોય, તો ડૉક્ટર્સ ઈકોકાર્ડિયોગ્રાફી, ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ (TMT) અથવા સીટી કોરોનરી એન્જીયોગ્રાફી કરાવવાની સલાહ આપી શકે છે.

સમયસર નિદાન કેમ જરૂરી છે? જો શ્વાસ ફૂલવાની સમસ્યા અચાનક વધી જાય અથવા આરામ કર્યા પછી પણ ઠીક ન થાય, તો તે શરીરની મોટી ચેતવણી છે. હાર્ટ ફેલિયર, ક્રોનિક લંગ ડિસીઝ કે ફેફસાની નસોમાં લોહી ગંઠાઈ જવું (પલ્મોનરી એમ્બોલિઝમ) જેવી પરિસ્થિતિઓમાં જો વહેલી ખબર પડી જાય તો દર્દીનો જીવ બચાવી શકાય છે. વહેલા નિદાનથી ભવિષ્યની ગંભીર અસરો અને વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવામાંથી બચી શકાય છે. તેથી, આ સમસ્યાને ઉંમર પર ઢોળવાના બદલે સમયસર ડૉક્ટરની સલાહ લો.