
દીવ દમણ અને સેલવાસના પ્રવાસ સ્થળોનો વિકાસ જબરદસ્ત રીતે પ્રફુલ પટેલે કર્યો છે. જેને લઈ દીવ દમણ અને સેલવાસામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો છે. દમણના સીફ્રન્ટને તૈયાર કરતા જ હજારો પ્રવાસીઓ ગુજરાત અને મહારાષ્ટ્રથી રજાઓના દીવસોમાં ઉભરાયેલા જોવા મળે છે.

પ્રફુલ પટેલ ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન છે. વર્ષ 2007માં હિંમતનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય ચૂંટાયા હતા. તેઓ 2010 થી 2012 સુધી તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહ ખાતાને સંભાળતા હતા. હિંમતનગરના ધારાસભ્ય પદે રહેતા તેઓએ હિંમતનગરનો કાયાપલટ કરતા જ તેઓ ચર્ચામાં આવ્યા હતા.

ત્યારબાદ 2014માં કેન્દ્રમાં ભાજપની મોદી સરકાર આવતા જ પ્રફુલ પટેલને 2016માં દમણ દીવ અને 2017માં દાદરાનગરના પ્રશાસકનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ બંને સંઘપ્રદેશની કાયાપલટ કરી દેવામાં આવી છે અને પ્રવાસીઓને માટે અનેક વિકાસ પ્રોજેક્ટ પર હાલમાં કામ ચાલી રહ્યુ છે.

લક્ષદ્વીપમાં આવનારા દિવસોમાં બોઈંગ 747 વિમાન ઉતરી શકે એવું વિશાળ એરપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટેની જરુરી કાર્યવાહી શરુ થઈ ચૂકી છે. જેને દરીયા વચ્ચે તૈયાર કરવામાં આવશે અને વિશાળ એરપોર્ટ થકી આંતરાષ્ટ્રીય પ્રવાસીઓને માટે સીધું અને સરળ સ્થળ બનાવવામાં આવશે.

ફાઈવ અને સેવન સ્ટાર હોટલો જે ભારતમાં પ્રસિદ્ધ છે, તે હોટલો લક્ષદ્વીપમાં સ્થાપનારી છે. લક્ષદ્વીપમાં આ પંચતારક હોટલો દ્વારા બ્લૂ દરિયામાં વોટર વિલા તૈયાર કરવામાં આવનાર છે. આ વોટર વિલાની સંખ્યા 5000 જેટલી વિસ્તારમાં આવે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યા છે. હાલમાં માલદીવના વોટર વિલાને લઈ ભારતીય પ્રવાસીઓનું આકર્ષણ છેલ્લા કેટલાક વર્ષથી વધ્યુ છે.

હાલમાં લક્ષદ્વીપમાં મોટાભાગના વિસ્તાર ડીઝલ જનરેટર દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પૂરવઠો પૂરો પાડતા હતા. હવે સૌર ઉર્જા સ્ત્રોત સહિતની દીશામાં પ્રશાસક દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયમાં જ લક્ષદ્વીપ દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે મહત્વનું પ્રવાસન સ્થળ બની જશે. આ માટે શક્ય તમામ પાસાઓ પર કેન્દ્ર સરકાર અને પ્રફુલ પટેલ દ્વારા પ્રયાસ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યો છે.
Published On - 2:39 pm, Mon, 8 January 24