
પીટીઆઈના એક રિપોર્ટસ અનુસાર સ્પાઈસજેટ નાણાકીય કટોકટી, કાનૂની લડાઈ અને અન્ય અવરોધોનો સામનો કરી રહી છે અને આ સપ્તાહના અંતમાં છટણી અંગે કોઈ મોટો નિર્ણય લે તેવી સંભાવના છે.આ પછી અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્પાઇસજેટ એરલાઇનના કર્મચારીઓને પગાર મેળવવામાં વિલંબ થઈ શકે છે. તેમજ એવું કહેવામાં આવ્યું હતું કે ભંડોળના અભાવને કારણે તે પગારની સાથે પેન્શન ફંડ અને ટેક્સ જમા કરાવવામાં સક્ષમ નથી.

સ્પાઇસજેટ સંબંધિત આ પ્રકાર સમાચારો પર સ્પષ્ટતા આપતા સ્પાઇસજેટે કહ્યું છે કે અમે મજબૂત સ્થિતિમાં છીએ.એરલાઇનના જણાવ્યા અનુસાર, તેઓ રૂ. 744 કરોડના મૂડી રોકાણનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને વધારાની સબ્સ્ક્રિપ્શન પેન્ડિંગ રેગ્યુલેટરી મંજૂરી પણ મેળવી છે.

આ સિવાય કંપનીએ વધારાના 1500 કરોડ રૂપિયા એકત્ર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ શેરધારકોના ઠરાવ મુજબ વૈધાનિક લેણાં, વેન્ડર પેમેન્ટ્સ અને અન્ય લેણાં માટે કરવામાં આવશે.

મંગળવારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્પાઇસજેટમાં રોકડની તંગીને કારણે કંપનીમાં મોટી છટણી થવાની છે. કંપનીએ તેના કુલ કર્મચારીઓમાંથી લગભગ 15 ટકા કાપ મૂકવાની યાદી તૈયાર કરી છે. કંપનીએ કોસ્ટ કટિંગને ટાંકીને છટણીનો આ નિર્ણય લીધો છે.હાલમાં, લગભગ 9,000 કર્મચારીઓ એરલાઇનમાં કામ કરી રહ્યા છે અને તેમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ આંકડો લગભગ 1400 કર્મચારીઓનો છે.

બજેટ એરલાઈને કથિત રીતે છટણીની પુષ્ટિ કરી છે અને આ પગલાને ઓપરેશનલ જરૂરિયાતો અનુસાર લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. છટણી અને પગારની કટોકટીના સમાચારની અસર કંપનીના શેર પર પણ જોવા મળી રહી છે. બુધવારે સ્પાઈસજેટનો શેર 3.44 ટકાના ઘટાડા સાથે રૂ. 63.37ના સ્તરે બંધ થયો હતો. 4340 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી એરલાઇન કંપનીનો શેર રૂ. 64.88 પર ખૂલ્યો હતો. સમાચારો દરમિયાન તે રૂ. 65.45ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.
Published On - 8:32 am, Thu, 15 February 24