TV9 GUJARATI | Edited By: Utpal Patel
Jun 04, 2023 | 8:56 PM
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ હોબાળો મચી ગયો છે. લોકો પોતાના પ્રિયજનોને શોધવા શબઘરથી હોસ્પિટલ સુધી લાઈનોમાં લાગેલા છે.. આંખોમાંથી આંસુ સુકાઈ ગયા છે. ઘણાને મૃતદેહ મળી ગયો છે, જ્યારે ઘણા હજી આશા રાખીને બેઠા છે કે મારા પ્રિયજન સામેથી આવતો જોવા મળે.
શબઘરમાં મૃતદેહોના ઢગલા છે. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે અને 1000થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. તમામની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘાયલોને મળ્યા છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. જોકે રેલ્વેએ ડ્રાઈવર અને સિસ્ટમની ખામીના આરોપોને ફગાવી દીધા છે.
રેલ્વે મંત્રીએ જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ જાણી લેવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાંને કારણે થઈ શકે છે. સાથે જ અકસ્માત પાછળ જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.
જયા વર્મા સિન્હા, સભ્ય, ઓપરેશનલ અને બિઝનેસ ડેવલપમેન્ટ, રેલ્વે બોર્ડે સમજાવ્યું કે પોઇન્ટ મશીન અને ઇન્ટરલોકિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. તેમનું કહેવું છે કે સિસ્ટમ "એરર પ્રૂફ" અને "ફેલ સેફ" છે, પરંતુ બહારની દખલગીરીની શક્યતાને નકારી શકાય નહીં.
બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે અકસ્માત થયો હતો. આ અકસ્માત ભુવનેશ્વરથી 170 કિલોમીટર દૂર બાલાસોરના બહાનાગા બજાર સ્ટેશન પાસે થયો હતો.