
શું તમને ઘરમાં તણાવ, અસ્વસ્થતા કે નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે? જો હા, તો તમારે સમજી જવું કે એ વાસ્તુદોષના સંકેત હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે તમારે કેટલીક જૂની વસ્તુઓ તરત જ હટાવી દેવી જોઈએ. જાણો કઈ વસ્તુઓ હટાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.

જૂના અખબાર વેચી દો: હાલની તારીખમાં ઘણા લોકો ન્યૂઝ પેપર ભેગા કરીને રાખે છે. જો તમે પણ આવું કરો છો, તો સાવચેત થઈ જજો. વાસ્તુશાસ્ત્ર મુજબ, લાંબા સમયથી એકઠા થયેલા અખબારો ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે. આથી, સમયસર જૂના અખબારો બહાર કાઢતા રહો અને જરૂર પડે તો કોઈ ભંગારના વેપારીને વેચી દો.

જૂના કપડાં અને વાસણો: જો સ્ટોર રૂમમાં જૂના કપડાં અને વાસણો રાખવામાં આવે છે, તો ઘરમાં ક્યારેય સકારાત્મકતા પ્રવેશી શકતી નથી. જો તમે આ રીતે જૂની વસ્તુઓનો સંગ્રહ કરતા રહેશો, તો તમારી ઉર્જા જૂની વસ્તુઓમાં જ અટવાઈ રહેશે.

બંધ ઘડિયાળ: જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ છે, તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે અને પછી જીવનમાં સ્થિરતા ઘટી જાય છે. આના માટે તમે કાં તો બંધ થયેલી ઘડિયાળ તાત્કાલિક રિપેર કરાવો અથવા તો તેને ઘરમાંથી બહાર ફેંકી દો.

ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન: આજકાલ ઘણા લોકો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જેવી કે રેડિયો, મિક્સર, રિમોટ કે કમ્પ્યુટરના બગડેલા ભાગને એ વિચારથી રાખે છે કે, આ ભવિષ્યમાં કદાચ કામ આવી જશે. જો કે, વાસ્તુ અનુસાર આવી નિષ્ક્રિય અને બગડેલી વસ્તુઓ ઘરમાં રહેતી સકારાત્મક ઊર્જાને ધીમે ધીમે નાશ કરતી જાય છે. ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે, તમારે કાં તો આવી વસ્તુઓ દૂર કરવી જોઈએ અથવા તો તેને રિપેર કરાવવી જોઈએ.

નકામા વાયરો: ઘણા લોકો જૂના વાયરો ભેગા કરીને રાખે છે. તમને જણાવી દઈએ કે, આ ગૂંચવાયેલા નકામા વાયરો પણ તમારા જીવનને ગૂંચવી શકે છે. આ તાર કે વાયરોથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આથી, નકામા વાયરોને તરત જ ઘરની બહાર કાઢો.

વાસ્તુદોષ દૂર કરવાના અન્ય ઉપાયો: ઘરને નિયમિતપણે સાફ કરવું પણ મહત્વપૂર્ણ છે. લગભગ દરેક રૂમમાં લાઇટ રાખવાનો પ્રયાસ કરો. જો પ્રકાશ કુદરતી હોય, તો તે વધુ સારું માનવામાં આવે છે. જો તમે ઘરમાં લીલા છોડ વાવો છો, તો ઉર્જા સારી રહેશે.